Home Gujarat Surat Surat Pandesara Muktinagar Building Gallery Collapse

ચોમાસામાં ફરી સામે આવ્યો જર્જરિત મકાનોનો ખતરો : સુરતના પાંડેસરામાં પહેલા જ વરસાદે મકાનની ગેલેરી ધરાશાયી

તૂટેલી ગેલેરી
Published by: Chintan Chavda
Last Updated: Jun 30, 2026, 08:58 AM IST

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા મુક્તિનગરમાં ચોમાસા દરમિયાન એક જર્જરિત મકાનની ગેલેરી અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે ઘટનાના સમયે ગેલેરી નીચે કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહોતી. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, મુક્તિનગર સોસાયટીના મકાન નંબર 58ની ગેલેરી વરસાદ દરમિયાન તૂટી પડી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ મકાન આશરે 35 વર્ષ જૂનું છે અને તેની સ્થિતિ લાંબા સમયથી જર્જરિત હતી.

આ પણ વાંચો: પહેલાં જ વરસાદે બગાડી સુરતની 'સૂરત', ઠેર-ઠેર ભુવા : બેસી ગયો 400 મીટરનો રોડ, ખૂંપી ગઇ પૂરાણ કરવા આવેલી ટ્રક

અગાઉ નોટિસ અપાઈ હોવાનો સ્થાનિકોનો દાવો

સ્થાનિક રહિશોના જણાવ્યા મુજબ સુરત મહાનગરપાલિકા દ્વારા આ મકાનને અગાઉ જોખમી ગણાવી નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં મકાન ખાલી કરવામાં આવ્યું ન હોવાનું તેઓ દાવો કરી રહ્યા છે. ભારે વરસાદ વચ્ચે ગેલેરી ધરાશાયી થતાં ફરી એકવાર જોખમી મકાનોની સુરક્ષા અને સમયસર કાર્યવાહી અંગે સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. અધિકારીઓ દ્વારા મકાનની હાલતનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

કોર્પોરેટરે સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી

વોર્ડ નંબર 28ના કોર્પોરેટર મનીષભાઈ પટેલે જણાવ્યું હતું કે સવારે ગેલેરી ધરાશાયી થયાની જાણ મળતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમના જણાવ્યા મુજબ ગેલેરી તૂટી પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે રાહતની બાબત છે. કોર્પોરેટરે વધુમાં જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી અને હાલ જરૂરી કાર્યવાહી ચાલી રહી છે. સાથે જ આસપાસના વિસ્તારમાં સુરક્ષાના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી વધુ કોઈ દુર્ઘટના ન સર્જાય.

આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર : વરસાદથી ખેડૂતો ખુશ! 3થી 6 જુલાઈ વચ્ચે ના ત્રણ દિવસ ગુજરાત માટે ભારે

ચોમાસામાં જોખમી મકાનો મુદ્દે ફરી ચિંતા

ચોમાસાની શરૂઆત સાથે જ શહેરમાં જૂના અને જર્જરિત મકાનોની સ્થિતિ ફરી ચર્ચામાં આવી છે. નિષ્ણાતોના મતે ભારે વરસાદ દરમિયાન આવા મકાનોમાં રહેતા લોકો માટે જોખમ વધી શકે છે. સ્થાનિકોનું કહેવું છે કે જોખમી જાહેર કરાયેલા મકાનો અંગે સમયસર કાર્યવાહી કરવામાં આવે તો આવી ઘટનાઓ ટાળી શકાય.

સમાચાર લખાય છે ત્યાં સુધી ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. મહાનગરપાલિકા દ્વારા મકાનની સ્થિતિ અંગે તપાસ ચાલુ છે અને તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now