અમદાવાદના સરખેજ રેલવે ફાટક નજીક આવેલી મરિયમ મસ્જિદ ખાતે બુધવારે સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
મ્યુનિસિપલ તંત્રના જણાવ્યા મુજબ, મસ્જિદના કેટલાક બાંધકામ જરૂરી મંજૂરી અને મંજૂર નકશા (પાસ પ્લાન) વિના કરવામાં આવ્યા હોવાના આધારે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. કોર્પોરેશનના અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે સંબંધિત બાંધકામ માટે જરૂરી બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન ઉપલબ્ધ ન હોવાથી કાયદાકીય પ્રક્રિયા હેઠળ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.
હાઇકોર્ટમાં મામલો વિચારાધીન હોવાની માહિતી
મળતી માહિતી મુજબ, આ મુદ્દે મસ્જિદ ટ્રસ્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચેનો વિવાદ હાલમાં ગુજરાત હાઇકોર્ટમાં વિચારાધીન છે. તેમ છતાં કોર્પોરેશનની ટીમ સવારે સ્થળ પર પહોંચી અને કાર્યવાહી શરૂ કરી હતી. હાલમાં હાઇકોર્ટે આ મામલે કોઈ નવી રાહત કે સ્થગિત આદેશ (સ્ટે) આપ્યો છે કે નહીં તે અંગે સત્તાવાર વિગતો જાહેર થઈ નથી. તેથી આગામી સુનાવણી અને કોર્ટના આદેશ પર સૌની નજર છે.
આ પણ વાંચો: 'ગાડીમાં બેસો, નાસ્તો કરીએ' : ખેડૂત આગેવાન શૈલેષ મેર પર જીવલેણ હુમલો, અપહરણ બાદ ચાલતી કારમાં છરીના ઘા
પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે કાર્યવાહી
ડિમોલિશન દરમિયાન સમગ્ર વિસ્તારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને તંત્રના અધિકારીઓ સતત સ્થળ પર હાજર રહ્યા હતા. સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી. આ સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વધુ સત્તાવાર માહિતી તેમજ મસ્જિદ ટ્રસ્ટનો પક્ષ સામે આવવાનો બાકી છે. હાઇકોર્ટની આગામી કાર્યવાહી બાદ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.





