સુરત શહેરના કપોદ્રા વિસ્તારના રચના સર્કલ નજીક આવેલ ભરતનગરમાં ગુરુવારે વહેલી સવારે ભયાનક આગની ઘટના સામે આવી છે. સવારે આશરે 5:30 વાગ્યે ખાતા નંબર 46 અને 47 માં આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. માહિતી મળતા જ તરત ચાર અલગ અલગ ફાયર સ્ટેશનમાંથી ફાયર ફાઈટિંગ ટીમોને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, આગ લાગ્યા બાદ LPG સિલિન્ડરનો વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ કારણે આસપાસના મકાનોમાં પણ ધુમાડો અને તાપનો પ્રભાવ જોવા મળ્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગ દરમિયાન ત્રીજા માળે બંધ પતરાના શેડમાં કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી મળતા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર ટીમે શેડ તોડી અંદર પ્રવેશ કરીને લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
આ ઘટનામાં કુલ 11 વ્યક્તિઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 9 લોકોને સામાન્યથી મધ્યમ ઇજાઓ પહોંચી હતી. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. દુર્ભાગ્યવશ, આ આગની ઘટનામાં 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાનું પણ અધિકારીઓએ પુષ્ટિ કરી છે.
ફાયર વિભાગની ઝડપી કામગીરીને કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. હાલ આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




















