સુરતના બહુચર્ચિત નકલી કરન્સી કેસમાં વધુ એક મહત્વપૂર્ણ ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાંચે કામરેજ વિસ્તારમાંથી ભાવેશ ગજેરા નામના આરોપીને ઝડપી લીધો છે, જે આ ગેરકાયદે કારોબારમાં સક્રિય રીતે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, કામરેજ નજીક આવેલી સત્યમ યોગ ફાઉન્ડેશનની આડમાં પ્રદીપ ગુરૂ અને તેના સાગરિતો દ્વારા બનાવટી ચલણી નોટો છાપવાનો ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવતો હતો. આ કેસમાં પહેલાથી જ પ્રદીપ ગુરૂ અને મુકેશ ઠુમ્મર સહિત છ આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે રૂપિયા 2.48 કરોડની નકલી નોટો સાથે ઝડપી લીધા હતા.
પોલીસ પૂછપરછમાં ખુલાસો
તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે મુકેશ ઠુમ્મર પ્રદીપ ગુરૂના સૂચન મુજબ નકલી નોટોના કારોબારનું સંચાલન કરતો હતો અને એજન્ટો સાથે સોદા પણ કરતો હતો. આ દરમિયાન પોલીસે પૂછપરછમાં ભાવેશ ગજેરાનું નામ સામે આવ્યું હતું, જે ઘણા દિવસોથી ફરાર હતો.
'નોટગુરુ'નો નાણાકીય સહાયક
ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે ગુરૂવારે સુરતમાંથી ભાવેશ ગજેરાને ઝડપી લીધો હતો. તપાસમાં સામે આવ્યું છે કે ભાવેશે નકલી નોટો છાપવા માટે જરૂરી સાધનો ખરીદવા નાણાકીય સહાય કરી હતી. ઉપરાંત, તેણે પ્રદીપ ગુરૂ સાથે સોદા કરીને અંદાજે 20 લાખ રૂપિયાની નકલી નોટો બજારમાં ફરતી કરી હતી.
આ ઉપરાંત, ભાવેશ ગજેરા નકલી નોટોના સમગ્ર કારોબારમાં હિસ્સેદાર તરીકે પણ કાર્યરત હતો. પોલીસે આરોપીના છ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં હજુ વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેથી ગેરકાયદેસર નેટવર્કના અન્ય લોકો સુધી પણ તપાસ પહોંચી શકે છે.





