Surat News: સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ ભેસ્તાન રેલવે ઓવરબ્રિજ નીચે પ્લાસ્ટિકના કચરાના ધુમાડાને લઈને શરૂ થયેલો સામાન્ય વિવાદ લોહિયાળ અથડામણમાં ફેરવાયો હતો. આ ઘટનામાં ઝાકીર ખાન પઠાણ નામના યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
માહિતી મુજબ, ઝાકીર ખાન ઓવરબ્રિજ નીચે પ્લાસ્ટિકના વેસ્ટનો વ્યવસાય કરતા હતા. ત્યાં એકઠા થતા કચરાને સળગાવવાના કારણે નીકળતા ધુમાડા બાબતે કેટલાક યુવકો સાથે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં સામાન્ય તકરાર લાગતો મામલો થોડા જ સમયમાં ઉગ્ર બની ગયો હતો.
૧૨ મે ૨૦૨૬ના રોજ બપોરે આશરે ૩:૪૫ વાગ્યાની આસપાસ બંને પક્ષો આમને-સામને આવી ગયા હતા. આરોપીઓએ મળીને ઝાકીર ખાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર ઇજાઓ પહોંચતા આસપાસના લોકો તરત જ તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે સારવાર દરમિયાન ઝાકીર ખાનનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા ડિંડોલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી કુલ ચાર આરોપીઓની ઓળખ કરી. જેમાં પ્રીતમ રામનારાયણ શર્મા, શુભમ બાલકૃષ્ણ મરાઠે, કિરણ ઉર્ફે ચેતન બાવીસ્કર અને અંકિત દિનકર પાટીલના નામ સામે આવ્યા છે.
પોલીસે અત્યાર સુધી બે મુખ્ય આરોપીઓની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. જ્યારે કિરણ બાવીસ્કર ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં પોલીસ દેખરેખ હેઠળ છે. બીજી તરફ ફરાર આરોપી અંકિત પાટીલને ઝડપી પાડવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ તેજ કરી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તમામ આરોપીઓ અગાઉ પણ પ્રોહિબિશન સહિતના ગુનાઓમાં સંડોવાયેલા રહી ચૂક્યા છે. હાલ સમગ્ર મામલે ડિંડોલી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.





