રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં આજે રાજ્યકક્ષાએ 79મો સ્વતંત્રતા પર્વ ઉજવાયો. માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું. આ પ્રસંગે “બાપુના પગલે ત્રિરંગા ભારત” થીમ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, જેમાં 150 કલાકારોએ દેશભક્તિ ગીતો, નૃત્ય અને ભારતીય સંસ્કૃતિના જીવંત પ્રદર્શનોથી સૌને પ્રેરિત કર્યા.
રાજ્યભરમાં આજે સવારે 9:00 કલાકે તમામ જિલ્લા મુખ્યાલયોએ એકસાથે ધ્વજવંદન કાર્યક્રમો યોજી આઝાદીના પર્વને ગૌરવપૂર્ણ બનાવ્યો.
ગઈકાલે સ્વતંત્રતા પર્વની પૂર્વસંધ્યાએ “વંદન તને પોરબંદર” શીર્ષક હેઠળ મલ્ટિમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, જેમાં ગાંધીજીના જીવનપ્રસંગો અને પોરબંદરના ઇતિહાસને ઉજાગર કરતા નાટ્યાંશો રજૂ થયા.





