શ્રીલંકામાં અદાણી ગ્રૂપના કરોડોના પાવર પ્રોજેક્ટ પરના સંકટના વાદળો દૂર થતા જોવા મળે છે. થોડા દિવસ અગાઉ અહેવાલો આવ્યા હતા કે શ્રીલંકાની સરકાર અદાણી ગ્રૂપ સાથેનો પાવર પરચેઝ એગ્રીમેન્ટ ખતમ કરવાનું વિચારી રહી છે. જો કે, હવે અફવાઓનો અંત આવ્યો કારણ કે શ્રીલંકાની સરકારે આ ડીલ અંગે અદાણી ગ્રુપ સાથે નવેસરથી વાતચીત કરવાની તૈયારી દર્શાવી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દેશના ઉર્જા મંત્રાલયના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે ડીલ સમાપ્ત થઈ ગઈ છે, જ્યારે કેટલાક રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આવું નથી. અદાણી ગ્રૂપે એક નિવેદન જારી કરીને કહ્યું કે 484 મેગાવોટ ક્ષમતાનો પ્રોજેક્ટ રદ કરવામાં નથી આવી રહ્યો.
શ્રીલંકાની સરકાર અદાણી ગ્રીન એનર્જી સાથે 484 મેગાવોટના પવન એનર્જી પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થતી વીજળીની કિંમત ઘટાડવા માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ પર ફરીથી વાટાઘાટો કરશે. શ્રીલંકાના સરકાર તરફથી જણાવામાં આવ્યું કે સરકાર અદાણી ગ્રુપની કંપની સાથે પ્રોજેક્ટની કિંમત પ્રતિ યુનિટ US$0.06 ઘટાડવા માટે નવી વાટાઘાટો કરશે.
સરકાર તરફથી અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, "અમે ઇચ્છીએ છીએ કે તે છ યુએસ સેન્ટથી ઓછું હોય." શ્રીલંકાની અગાઉની સરકારે 484 મેગાવોટ ક્ષમતાના વિન્ડ પ્લાન્ટ માટે 8.2 સેન્ટના ભાવે અદાણી ગ્રીન એનર્જી સાથે 20 વર્ષનો પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, આ નિર્ણય વિવાદાસ્પદ હતો કારણ કે સ્થાનિક બિડરોએ એકમના ભાવ નીચા બિડ કર્યા હતા.
જયતિસાની પાર્ટી નેશનલ પીપલ્સ પાવર (NPP)એ અગાઉ અદાણી ગ્રીન એનર્જી પ્રોજેક્ટને રદ કરવાનું વચન આપ્યું હતું. નવી સરકારે ડિસેમ્બરમાં અગાઉની સરકાર દ્વારા સંમત કરાયેલ પરચેસ કિંમતો પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે, શ્રીલંકાની સરકારે એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે અદાણી ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ મન્નાર અને પૂનારીન પ્રોજેક્ટ્સ રદ કરવામાં આવશે, પરંતુ સરકારે કહ્યું કે તેના દ્વારા નિયુક્ત કમિટી સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા કરશે.
અદાણી ગ્રીન એનર્જીએ પણ અગાઉ શ્રીલંકાની સરકારે આ પ્રોજેક્ટ રદ કર્યો હોવાનો ઇનકાર કર્યો હતો. અદાણી ગ્રૂપ કંપનીએ ગત સપ્તાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મે 2024માં મંજૂર કરાયેલા ટેરિફ દરોનું પુનઃમૂલ્યાંકન કરવાનો 2 જાન્યુઆરી, 2025નો શ્રીલંકાના કેબિનેટનો નિર્ણય પ્રમાણભૂત સમીક્ષા પ્રક્રિયાનો એક ભાગ છે. ખાસ કરીને, નવી સરકાર ખાતરી કરવા માંગશે કે કરારની શરતો તેની વર્તમાન પ્રાથમિકતાઓ અને ઊર્જા નીતિઓ સાથે મેળ ખાતી હોય.




















