વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પર પ્રતિક્રિયા આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ભાજપ સરકાર તરફથી જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું કે, 'ભાજપ સરકાર હંમેશા દેશ અને જનતાના હિતમાં નિર્ણય લે છે, જ્યારે કોંગ્રેસ દેશ વિરોધી રાજકારણ કરે છે. તેમના કહેવા મુજબ કોંગ્રેસ ખેડૂતના હિતની વાત જોઈ શકતી નથી અને માત્ર વિરોધ માટે વિરોધ કરી રહી છે.
'ભાજપ સરકાર દેશ હિતના નિર્ણય લઈ રહ્યું છે'
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આક્ષેપ કર્યો કે, 'કોંગ્રેસ સત્તા બહાર હોવાના કારણે બોખલાઈ ગઈ છે અને રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ માત્ર નરેન્દ્ર મોદીનો વિરોધ કરવા ઉતરે છે. તેમણે કહ્યું કે, અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલને વિશ્વ સ્વીકારી ચૂક્યું છે. આ ડીલ અંતર્ગત બાસમતી ચોખા સહિત કેટલાક ઉત્પાદનો પરના કઠોર ટેરિફ ઘટાડવામાં આવ્યા છે, જેના કારણે કેરી, ચા અને ફોફી જેવા ઉત્પાદનોના વેપારમાં ફાયદો થશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, અમેરિકાથી આવતી મિલ્ક વસ્તુઓ પર ભારતે કોઈ ઘટાડો કર્યો નથી અને ખેડૂત તથા ગરીબોના હિતમાં ભાજપ સરકાર ક્યારેય સમાધાન કરશે નહીં'.
'કોંગ્રેસ દેશ વિરોધી છે'
SC, ST અને OBC સમાજ અંગે તેમણે કહ્યું કે, કોંગ્રેસે આ વર્ગોને માત્ર વોટ બેંક તરીકે જોયા હતા, જ્યારે ભાજપ તેમને રાજ્યની જનતા તરીકે માને છે અને તેમના વિકાસ માટે કામ કરે છે. તેમણે દાવો કર્યો કે સરકાર દ્વારા આ વર્ગોના વિકાસ માટે બજેટમાં વધારો કરવામાં આવ્યો છે અને એકપણ લાભાર્થી વંચિત નહીં રહે. વિધાનસભામાં થયેલી ઘટના અંગે તેમણે કોંગ્રેસ પર નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો અને કહ્યું કે મંત્રીનો જવાબ સાંભળ્યા વગર ગૃહ છોડવું યોગ્ય નથી.
'આવી સૂચનાઓ નાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને સમયાંતરે બહાર પાડવામાં આવે'
સામાન્ય વહીવટના પરિપત્ર મુદ્દે તેમણે જણાવ્યું કે, આવી સૂચનાઓ નાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને સમયાંતરે બહાર પાડવામાં આવે છે અને રાજ્યનું વહીવટ સંકલન તથા સમન્વયથી ચાલે છે.




















