લગ્ન નોંધણી કાયદામાં સંભવિત સુધારાને લઈને મહેસાણા જિલ્લામાં રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા તેજ બની છે. આ મુદ્દે સરદાર પટેલ ગ્રુપ (SPG)ના અધ્યક્ષ લાલજી પટેલએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. લાલજી પટેલે જણાવ્યું હતું કે જો રાજ્ય સરકાર તેમની સંસ્થા દ્વારા રજૂ કરાયેલા પાંચ મુખ્ય મુદ્દાઓ મુજબ કાયદામાં સુધારો કરશે તો SPG સરકારને ખુલ્લેઆમ અભિનંદન પાઠવશે.
'...કોઈ ઉતાવળો નિર્ણય લેવો જોઈએ નહીં'
જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે હજુ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર પરિપત્ર કે વિગતવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. તેમણે કહ્યું કે સત્તાવાર માહિતી અને ઓફિશિયલ લેટર આવ્યા બાદ જ તેઓ સ્પષ્ટ અને વિસ્તૃત પ્રતિભાવ આપશે. “આ મુદ્દો માત્ર કાયદાનો નથી, પરંતુ માતા-પિતા અને યુવા દીકરીઓની સુરક્ષા સાથે જોડાયેલો છે. તેથી કોઈ ઉતાવળો નિર્ણય લેવો જોઈએ નહીં,” એમ તેમણે ઉમેર્યું.
'સરકારના નિર્ણયમાં કોઈ કાચું ન કપાઈ જાય તે માટે સર્વ સમાજ રાહ જોઈ રહ્યો છે'
લાલજી પટેલે વધુમાં જણાવ્યું કે, SPG અને સર્વ સમાજ છેલ્લા પાંચ વર્ષથી આ પાંચ મુદ્દાઓ પર લડત ચલાવી રહ્યા છે. સરકારનો અંતિમ નિર્ણય શું હશે તે જાણવા માટે સમગ્ર સમાજ રાહ જોઈ રહ્યો છે અને સરકારના નિર્ણયમાં કોઈ કાચું ન કપાઈ જાય તેની ચિંતા પણ વ્યક્ત કરી છે. હાલ સમગ્ર મામલો સરકારના સત્તાવાર પરિપત્રની રાહમાં છે. ત્યારબાદ જ SPG તરફથી વિગતવાર પ્રતિક્રિયા આપવામાં આવશે, એવું લાલજી પટેલે સ્પષ્ટ કર્યું છે.




















