રાજ્યમાં હવે વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે ચેતવણીજનક આગાહી કરી છે. વલસાડ, નવસારી, સુરત અને ડાંગ જિલ્લામાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી બાજુ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
ચોમાસાના આગમનને લઇ અંબાલાલ પટેલની આગાહી
જાણીતાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે દક્ષિણ ચીન વિસ્તારમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમના કારણે ભેજ ભરેલા પવનના પ્રવાહો ગુજરાત તરફ ધસી રહ્યાં છે. જોકે, ઉત્તર અને દક્ષિણ-પશ્ચિમ દિશામાં ચાલી રહેલા ગરમ પવનના કારણે ચોમાસું થોડું વમળાઇ ગયું છે.
તેમણે જણાવ્યું કે 8થી 12 જૂન દરમિયાન મહારાષ્ટ્ર અને મુંબઈમાં વરસાદી માહોલ સર્જાશે. જ્યારે ગુજરાતમાં ચોમાસું 12 જૂન પછી ગતિ પકડે તેવી શકયતા છે. ખાસ કરીને 12 થી 18 જૂન દરમિયાન દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.
ભીમ અગિયારસે વાવણીના નિર્ણય પર અંબાલાલ પટેલની ચેતવણી
આવતીકાલે ભીમ અગિયારસ છે – ખેડૂત સમુદાય માટે ખાસ દિવસ, જેમાં પરંપરાગત રીતે ચોમાસાની વાવણી શરૂ કરવામાં આવે છે. જોકે, અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે, આ વર્ષે ભીમ અગિયારસના દિવસે થનારો વરસાદ પ્રિ-મોનસુન ગણાશે, નહિ કે ચોમાસાનો ભાગ.
તેમણે કહ્યું કે, "જો ભીમ અગિયારસે વાવણી થાય અને ત્યારબાદ વરસાદ થંભી જાય તો અંકુરણને નુકસાન થાય છે." તેથી ખેડૂતોએ આદ્રા નક્ષત્ર (22 જૂનથી શરૂ) દરમિયાન જ વાવણી કરવી વધુ યોગ્ય રહેશે.
શરુઆતના વરસાદથી સાવચેતી જરૂરી
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 9 જૂન સુધી અણધાર્યો વરસાદ થવાની શકયતા છે. પ્રિ-મોનસૂન વરસાદથી જમીન ભીજી જશે પણ અપૂરતી પવનોના કારણે અંકુરિત પાક પર રોગ-જંતુના હુમલાની શક્યતા રહે છે. ઉંમતી વાવણી અને પાણીના ભરાવાથી પણ નુકસાન થઈ શકે છે.




















