કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ રૂમ ફોર ઇમરજન્સી રિસ્પોન્સ (ICR-ER) દ્વારા 28 જુલાઈ, 2026ના રોજ માછીમારો માટે પાંચ દિવસની વિશેષ ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ચેતવણી મુજબ આગામી દિવસોમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વિવિધ વિસ્તારોમાં તેજ પવન અને ખરાબ હવામાનની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. ખાસ કરીને 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને તેના ઝોકા 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ચેતવણી અનુસાર અરબી સમુદ્રમાં અનેક વિસ્તારોમાં 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને તેના ઝોકા 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયામાં જવા પહેલાં હવામાનની સ્થિતિ અંગેની સત્તાવાર માહિતી મેળવવાની અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો: બનાસકાંઠામાં પ્રિ-મોન્સુન કામગીરી 'પાણીમાં'! : 4 દિવસથી રસ્તા બંધ... રહેણાંક વિસ્તારોમાં હજુ પણ પાણી, તેલનું ટેન્કર પલટ્યું
દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા માટે ચાર દિવસ ખાસ સાવચેતી
જાહેર કરાયેલી આગાહી મુજબ 30 જુલાઈથી 31 જુલાઈ, 31 જુલાઈથી 1 ઓગસ્ટ તેમજ 1 ઓગસ્ટથી 2 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, કોંકણ-ગોવા, કર્ણાટક, કેરળ અને લક્ષદ્વીપ વિસ્તાર નજીક 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને 60 કિલોમીટર સુધીના ઝોકા આવવાની શક્યતા છે.
આ ઉપરાંત અરબી સમુદ્રના મધ્ય ભાગ અને ઓમાન તેમજ સોમાલિયાના દરિયાકાંઠા નજીક પણ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને 65 કિલોમીટર સુધીના ઝોકાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદના દરિયાપુરમાં ત્રણ માળનું મકાન ધરાશાયી : વૃદ્ધાનું મોત; 1 યુવક ઇજાગ્રસ્ત
બંગાળની ખાડીમાં પણ ખરાબ હવામાન
ચેતવણીમાં બંગાળની ખાડી માટે પણ ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા, મ્યાનમાર નજીકના સમુદ્રી વિસ્તાર તેમજ ગલ્ફ ઓફ મન્નાર સહિતના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ દરમિયાન તોફાની પવન અને ખરાબ હવામાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ વિસ્તારોમાં પણ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને 65 કિલોમીટર પ્રતિ કલાક સુધીના ઝોકા નોંધાઈ શકે છે.
નાના જહાજો અને બોટ માટે ખાસ એડવાઈઝરી
ચેતવણીમાં ખાસ કરીને નાના જહાજો, ફિશિંગ બોટ અને અન્ય નાની નૌકાઓ માટે વિશેષ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. દરિયાકાંઠા નજીકની મનોરંજન પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે સ્થગિત રાખવા તેમજ ઊંચા મોજાં (High Waves) અને સમુદ્રમાં પાણીના ઉછાળા (Swell Surge)ને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
નાના જહાજો અને બોટ સંચાલકોને હવામાનની સ્થિતિ અનુકૂળ ન થાય ત્યાં સુધી જોખમ ન લેવા અને સ્થાનિક તંત્ર તેમજ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો: સુરતમાં નક્ષત્ર સેફ હાઉસ કૌભાંડ : ₹2.67 કરોડના 206 તોલા સોનાના દાગીના ગાયબ, સંચાલક પિતા-પુત્ર સહિત 4 સામે ગુનો; ત્રણની ધરપકડ
સ્થાનિક તંત્રને પણ સૂચના
આ ચેતવણી ગુજરાત સહિત ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, લક્ષદ્વીપ, અંડમાન-નિકોબાર અને પુડુચેરીના આપત્તિ વ્યવસ્થાપન તંત્રને મોકલવામાં આવી છે, જેથી જરૂરી પૂર્વ તૈયારીઓ કરી શકાય અને માછીમારો તથા દરિયાકાંઠાના રહેવાસીઓને સમયસર ચેતવણી પહોંચાડી શકાય.
નિષ્ણાતોનું માનવું છે કે ચોમાસાની ઋતુ દરમિયાન દરિયાની સ્થિતિ ઝડપથી બદલાતી હોવાથી માછીમારોએ દરિયામાં જતાં પહેલાં ભારતીય હવામાન વિભાગ (IMD) અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જારી કરવામાં આવતી તાજી આગાહીઓ પર સતત નજર રાખવી જરૂરી છે.





