અમદાવાદ: શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલા ડભગરવાડ ખાતે મંગળવારે એક ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી થતાં દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનામાં એક વૃદ્ધાનું કાટમાળ નીચે દટાઈ જવાથી મોત નીપજ્યું છે, જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, દરિયાપુરના મન્સૂરી મહોલ્લામાં આવેલ ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી થતાં બે લોકો કાટમાળ નીચે દટાયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને અન્ય બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો: અમદાવાદના રેલવે રૂટ પર સૌથી મોટો ફેરફાર! : સાબરમતીથી નહીં, હવે આ સ્ટેશનથી દોડશે 3 એક્સપ્રેસ, મળશે વધુ એક સટોપેજ
બચાવ કામગીરી દરમિયાન એકનું મોત, એકને હોસ્પિટલ ખસેડાયો
બચાવ કામગીરી દરમિયાન કાટમાળમાંથી એક વૃદ્ધાને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે એક ઇજાગ્રસ્ત યુવકને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટીનો માહોલ સર્જાયો હતો. હાલમાં બચાવ ટીમો સ્થળ પર કામગીરી કરી રહી છે અને મકાન ધરાશાયી થવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.





