હાજી કાસમ રાઠોડ ઉર્ફે હાજી રમકડુંના નામને મતદાર યાદીમાંથી દૂર કરવાનો પ્રયાસ કરાયો હોવાનો મામલો હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ખાસ કરીને બે દિવસ પહેલાં જ હાજી રમકડાને પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદગી થવાની જાહેરાત બાદ આ મુદ્દો સામે આવતા વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. આ મામલે હાજી રમકડુંએ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, “મારામાં શું કમી છે કે મારા નામ સામે વાંધા અરજી કરવી પડી?” તેમ કહી તેમણે દુઃખ અને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
'... તેઓ મીર સરનેમથી ઓળખાય છે'
આ સમગ્ર મામલે અરજી કરનાર ભાજપના કોર્પોરેટર સંજય મણવરએ પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, 'હાજી રમકડું માત્ર એક વિસ્તારનું નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ છે. તેમનું સાચું નામ મીર હાજીભાઈ કાસમભાઈ છે અને તેઓ મીર સરનેમથી ઓળખાય છે. સંજય મણવરે કહ્યું કે હાજી રમકડું રહે છે તે વિસ્તારમાં હાજી રાઠોડ નામે મતદાર યાદીમાં એક ફોર્મ જોવા મળ્યું હતું, જે તેમને શંકાસ્પદ લાગ્યું હતું.
'...મતાધિકારનો કોઈ ગેરઉપયોગ ન થાય તે હેતુ'
કોર્પોરેટર સંજય મણવરે વધુમાં જણાવ્યું હતું કે, 'હાજી રમકડુંના આધારકાર્ડમાં પણ મીર હાજીભાઈ કાસમભાઈ નામ નોંધાયેલું છે. આવા ગૌરવવંતા વ્યક્તિના નામ અથવા મતાધિકારનો કોઈ ગેરઉપયોગ ન થાય તે હેતુથી તેમણે નિયમ મુજબ ફોર્મ નંબર 7 ભરી વાંધાની અરજી કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની કાર્યવાહી કોઈ વ્યક્તિગત વિરોધ માટે નહોતી, પરંતુ નામના સંભવિત ગેરઉપયોગને અટકાવવાના ઉદ્દેશથી કરવામાં આવી હતી.
'હાજી રાઠોડ નામ શંકાસ્પદ લાગતાં વાંધા ઉઠ્યાવ્યો'
સંજય મણવરે જણાવ્યું કે હાજીભાઈ મીર સરનેમથી ઓળખાય છે અને તેમના જ વિસ્તારમાં હાજી રાઠોડ નામ શંકાસ્પદ લાગતાં તેમણે અરજી કરી હતી. હાલ આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે અને ચૂંટણી તંત્ર દ્વારા નિયમ મુજબ તપાસ કરવામાં આવશે. પદ્મશ્રી માટે પસંદ થયેલા હાજી રમકડુંના નામ સાથે જોડાયેલા આ વિવાદને લઈ લોકોમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે.




















