સાણંદમાં ‘દારૂ પાર્ટી’ પર થયેલી પોલીસ કાર્યવાહી સામે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા - બાપુએ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે અને સરકારને આકરા સવાલો પૂછ્યા છે. પોલીસ કાર્યવાહીને લઈને પીડા વ્યક્ત કરતા બાપુએ કહ્યું હતું કે “કોઈની આબરૂ પર હાથ મારવાની નકામી કોશિશ ન કરવી જોઈએ.” તેમણે સવાલ કર્યો કે એ લોકોને કેવું લાગે કે મોઢા સંતાડવા પડે? શું આ કોઈ મર્ડરનો કેસ છે? બળાત્કારનો કેસ છે? કે પછી કોઈ મોટો લૂંટફાટનો ગુનો છે?
દારૂ મામલે ફરી એકવાર ખુલીને બોલ્યા શંકરસિંહ વાઘેલા
દારૂ મામલે ફરી એકવાર ખુલીને બોલતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે ગઈકાલે મોડી રાત્રે મુંબઈથી એક પરિચિત વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું કે “બાપુ, અમે મુંબઈથી એક સારા કામ માટે અમદાવાદ આવ્યા હતા. જૂના પરિવારોના હિસાબે અમદાવાદની બાજુમાં એક ફાર્મહાઉસમાં મળીને ચા-પાણી અને નાસ્તો અને જમવા માટે મળ્યા હતા. મુંબઈથી આવ્યાં હોવાથી અમને ગુજરાતની નશાબંધીની નીતિનો બહુ ખ્યાલ નહોતો.” તેમણે આગળ જણાવ્યું કે આનંદ પ્રમોદની ગણતરી લિકર બ્રાન્ડ પીવાની શરૂઆત થાય એ પહેલાં જ પોલીસ આવીને ત્રાટકી હતી.
'કૃત્રિમ દારૂબંધી હટાવો અને ગુજરાતને બરબાદ થતું બચાવો'
શંકરસિંહ વાઘેલાએ સરકાર અને પોલીસ તંત્ર પર કડક ટિપ્પણી કરતા કહ્યું કે ગુજરાતમાં કૃત્રિમ દારૂબંધી અમલમાં છે અને આ આર્ટીફિશિયલ કંટ્રોલવાળી નીતિ છે. તેમણે કહ્યું કે પોલીસ ખાતાને મોટા ભાગે દારૂ પકડવામાં જ રસ હોય છે અને આવા ધંધા પોલીસ ખાતાએ પોતાની મર્યાદામાં રહીને કરવા જોઈએ. અંતમાં તેમણે સરકારને અપીલ કરી હતી કે “કૃત્રિમ દારૂબંધી હટાવો અને ગુજરાતને બરબાદ થતું બચાવો.” સાથે જ તેમણે ગુજરાતની જનતાને સંદેશ આપતા કહ્યું કે “આ નૌટંકીનો હવે અંત આવવો જોઈએ.”




















