Shankaracharya Statement : પંચમહાલ જિલ્લાના ગોધરામાં પધારેલા જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજે ધર્માંતરણ અને પર્યાવરણ સંરક્ષણ જેવા મહત્વના મુદ્દાઓ પર સ્પષ્ટ અને ગંભીર નિવેદન આપ્યું હતું. તેમના નિવેદનોને લઈ હાજર ભક્તોમાં અને સમાજમાં ચર્ચા જોવા મળી રહી છે.
'હિન્દુ ધર્મ છોડવાનું મુખ્ય કારણ...'
ધર્માંતરણના મુદ્દે બોલતા શંકરાચાર્ય મહારાજે જણાવ્યું હતું કે, “હિન્દુ ધર્મ આપણી પાસે આવ્યો છે તે આપણા માતા-પિતા પાસેથી આવ્યો છે. જેમ આપણે આપણા માતા-પિતા બદલી શકતા નથી, તેમ ધર્મને પણ બદલી શકાતો નથી.” તેમણે સ્પષ્ટ કહ્યું કે જે વ્યક્તિ સાચા અર્થમાં હિન્દુ છે, તેને ધર્માંતરણ કરવાની કોઈ જરૂર જ નથી. તેમના મતે, હિન્દુ ધર્મ છોડવાનું મુખ્ય કારણ એ છે કે ઘણા લોકોને હિન્દુ શબ્દનો સાચો અર્થ, હિન્દુ ધર્મની પદ્ધતિ અને હિન્દુ વિચારધારા સમજાતી નથી.
'હિન્દુ હોવાનું પ્રથમ લક્ષણ ગૌ માતાની સેવા'
શંકરાચાર્ય મહારાજે વધુમાં કહ્યું કે, 'જે ભોળા લોકો આ બાબતો સમજી શકતા નથી, તેમને મિશનરીઓ દ્વારા પ્રલોભન આપીને, ખાસ કરીને આદિવાસી સમાજને તાત્કાલિક લોભ આપી ભ્રમિત કરીને ધર્માંતરિત કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે હિન્દુ હોવાનું પ્રથમ લક્ષણ ગૌ માતાની સેવા છે, જે હિન્દુ સંસ્કૃતિ અને મૂલ્યોને દર્શાવે છે'.
'વૃક્ષો કાપવા ન જોઈએ અને પર્વતો તોડવા પણ ન જોઈએ'
આ સાથે સાથે તેમણે અરવલ્લી પર્વતમાળા અને પર્યાવરણના મુદ્દે પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે વૃક્ષો કાપવા ન જોઈએ અને પર્વતો તોડવા પણ ન જોઈએ, કારણ કે આ પ્રકૃતિના વિરુદ્ધ છે. જ્યારે મનુષ્ય પ્રકૃતિ સામે જાય છે અને તેની સાથે છેડછાડ કરે છે, ત્યારે ઈશ્વરનો પ્રકોપ મનુષ્યને ભોગવવો પડે છે, અને એના કારણે જ દેશમાં તથા વિશ્વમાં વિવિધ આપત્તિઓ આવે છે. શંકરાચાર્ય મહારાજે પ્રકૃતિને મનુષ્યનું જીવન ગણાવી કહ્યું કે પ્રકૃતિ જ આપણા પ્રાણ છે અને તેની રક્ષા થવી ખૂબ જરૂરી છે. પર્યાવરણને ક્યારેય અશુદ્ધ ન કરવું જોઈએ, કારણ કે પ્રકૃતિમાંથી જ આપણને પાણી, વાયુ અને અનાજ મળે છે. જો પ્રકૃતિ સુરક્ષિત રહેશે, તો જ માનવજીવન સુરક્ષિત રહેશે, એવો તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો.





















