બોટાદના હડદડ ગામે 'કડદા' મુદ્દે આમ આદમી પાર્ટીની યોજાયેલી ખેડૂત પંચાયત દરમિયાન તણાવની પરિસ્થિતિ સર્જાઈ હતી. પંચાયત દરમિયાન પોલીસ અને ગામલોકો વચ્ચે અચાનક બબાલ સર્જાતા પથ્થરમારાની ઘટના બની હતી. લોકોએ પોલીસ પર પથ્થરમારો કરતાં પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. જેમાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓની અટકાયત પણ કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે AAP નેતા ગંભીર આક્ષેપો કરી પોતાનો રોષ ઠાલવ્યો છે.
''ભાજપના કહેવાથી પોલીસે એકદમ ઘાતકી...''
AAPના સ MLA ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ''ભાજપના કહેવાથી પોલીસે એકદમ ઘાતકી અને ક્રૂર અને બર્બરતા પૂર્વક ખેડૂતો ઉપર લાઠી ચાર્જ કર્યો છે. બોટાદ અને આખાં ગુજરાતના ખેડૂતો છેલ્લા ઘણાં વર્ષોથી તેમના પ્રશ્નો અને હકો માંગી રહ્યાં છે. માર્કેટીંગ યોર્ડોમાં કડદા કરીને ખેડૂતોને લૂંટવાનું કામ કરે છે. ત્યારે આ માટે AAPના રાજૂભાઈએ લડત ચલાવી અને તેમણે શાંતિપૂર્ણ રીતે ખેડૂતો વતી લડી રહ્યાં હતા, પરંતુ શાંતિપૂર્ણ લડાઈને ડિસ્ટર્બ કરવાનું કામ આજે બોટાદમાં ભાજપના માણસો અને પોલીસે કર્યું છે''.
''...અંગ્રેજોને પણ શરમાવે તેવું કૃત્ય''
વધુમાં આક્ષેપ કર્યો કે, ''ગાંધીનગરવાળાના આદેશથી બર્બરતા પૂર્વક ઘાતકી રીતે લાઠી ચાર્જ કરવામાં આવ્યો, ખેડૂતોને માર મારવામાં આવ્યો તેમજ ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, આટલી હદે અન્યાય અને દાદાગીરી જે અંગ્રેજોને પણ શરમાવે તેવું કૃત્ય છે''
''આમ આદમી પાર્ટી મજબુતીથી ખેડૂતોની સાથે છે''
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ''ખેડૂતોને તેમના હક આપવાને બદલે, તેમની સાથે ન્યાય કરવાને બદલે ભાજપે ખેડૂતોને લાઠીઓ મારી તેમના પર આંસુ ગેસ છોડી ક્રુરતાની તમામ હદ પાર કરી દીધી. ખેડૂતોના હક અને અધિકારની આ લડતમાં આમ આદમી પાર્ટી મજબુતીથી ખેડૂતોની સાથે છે''





















