Congress Lalji Desai statement : ગુજરાતમાં ખેડૂતોની જમીનમાં તેમની મંજૂરી વગર હેવી વીજ લાઈન નાખવાના મુદ્દે રાજકીય તણાવ વધ્યો છે. અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે, 'ઉદ્યોગપતિઓ દ્વારા સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધી ઘણા ખેડૂતોને પૂછ્યા વિના જ તેમના ખેતરોમાં હેવી વીજ લાઈનના થાંભલા ઊભા કરી દેવામાં આવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, ખેડૂતો વિરોધ કરે ત્યારે પોલીસ તેમની સામે દંડાનો ઉપયોગ કરે છે, ખાસ કરીને મહિલાઓને માર મારવામાં આવે છે, જે અત્યંત નંદનીય છે'.
'પોલીસ તંત્ર અદાણી–અંબાણીના એજન્ટની જેમ વર્તે છે'
લાલજી દેસાઈએ વધુમાં આક્ષેપ કર્યો કે, 'પોલીસ તંત્ર અદાણી–અંબાણીના એજન્ટની જેમ વર્તે છે. ગુજરાતની SOG, LCB અને સ્થાનિક પોલીસે વિસ્તારને કોર્ડન કરીને ખેડૂતોના ખેતરોમાં બળજબરીથી થાંભલા ઊભા કરે છે'. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે વિકાસની પ્રક્રિયામાં સૌ સહયોગ આપે છે, તો પછી ખેડૂતોને ક્યાંક 25 લાખ અને ક્યાંક માત્ર 25 હજાર વળતર કેમ આપવામાં આવે છે? તેમણે પોલીસ પર ગંભીર ટિપ્પણી કરતાં કહ્યું કે 'પોલીસ જનતાની સુરક્ષા માટે છે, પરંતુ આજે લોકોમાં ભય ઉત્પન્ન કરે છે. દારૂ, જુગાર અને મોટા ધંધા કરતા લોકોને પોલીસની ખુલ્લી છૂટ છે, જ્યારે ખેડૂતો પર દબાણ કરવામાં આવે છે.'
તુષાર ચૌધરીએ સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ
કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ પણ આ મુદ્દે સરકારની નીતિ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, જમીન સંપાદન માટે ચોક્કસ અને ન્યાયસંગત નિયમો બનાવવામાં આવ્યા છે, પરંતુ તેનો પાલન થતું નથી. કેનાલનું કામ હોય કે કોઈ પણ પાઈપ લાઈન નાખવાનું હોય, ખેડૂતોની મંજૂરી જરૂરી છે” તુષાર ચૌધરીએ વધુમાં કહ્યું કે 'ખેડૂતોના ઊભા પાકમાં લાઈન નાખવામાં આવે ત્યારે થતા નુકસાન મુજબ યોગ્ય વળતર આપવું જોઈએ. કાયદામાં એવી જોગવાઈ છે કે પાઈપલાઇન અથવા વીજપોલ નાખ્યા બાદ જમીન યથાવત કરી આપવી ફરજિયાત છે, પરંતુ વાસ્તવિક રીતે ક્યાંય એવું થતું નથી'.






