Vadodara News: વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા જીગ્નેશ મેવાણીએ આજે વડોદરાની મુલાકાત દરમિયાન શાસક પક્ષ ભાજપ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) પર આકરા પ્રહારો કર્યા હતા. શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મેવાણીએ ભાજપના છેલ્લા 5 વર્ષના કથિત ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ સામે એક વિસ્તૃત 'ચાર્જશીટ' જાહેર કરી હતી.
સાંસ્કૃતિક ઓળખ ભૂંસાઈ, ભ્રષ્ટાચાર વધ્યો
મેવાણીએ જણાવ્યું હતું કે, ગાયકવાડ શાસનથી જે વડોદરા કલા અને સંસ્કાર નગરી તરીકે જાણીતું હતું, તેને ભાજપના 'નકલી રામભક્તો'એ 'મચ્છરનગરી' અને 'ભુવાનગરી' બનાવી દીધું છે. તેમણે આરોપ લગાવ્યો કે બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો અને સત્તાધીશોના મેળાપીપળાને કારણે શહેર કંગાળ સ્થિતિમાં આવી ગયું છે. છેલ્લા પાંચ વર્ષના અંદાજે ₹30,000 કરોડના બજેટનો ઉલ્લેખ કરતા તેમણે પ્રશ્ન કર્યો કે, "આટલી મોટી રકમમાં તો નવું વડોદરા બની શકે, તો આ પૈસા ગયા ક્યાં?"
માનવસર્જિત પૂર અને હરણીકાંડનો મુદ્દો
વિશ્વામિત્રીના પૂરને માનવસર્જિત ગણાવતા તેમણે કહ્યું કે નદીના પટમાં થયેલા દબાણોને કારણે જનતા ડૂબી રહી છે. હરણી બોટ કાંડ અંગે તેમણે રોષ વ્યક્ત કરતા પૂછ્યું કે, "મુખ્ય સૂત્રધારો જેલના સળિયા ક્યારે ગણશે?" 2026ના આધુનિક યુગમાં પણ વડોદરામાં નાગરિકો કોલેરાથી મરતા હોય કે ગટરમાં પડીને જીવ ગુમાવતા હોય, તે તંત્ર માટે અત્યંત શરમજનક બાબત છે.
પત્રકાર પર અત્યાચાર અને આગામી ચૂંટણી
રાજકોટના પત્રકાર સુરેશ વડેચા પર પોલીસ દ્વારા થયેલી કથિત બર્બરતા અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. વડોદરાના સાંસદને આડેહાથ લેતા તેમણે એરપોર્ટને ગાયકવાડનું નામ આપવા અને ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ કરવા પડકાર ફેંક્યો હતો. આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ અંગે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કોંગ્રેસ શ્રેષ્ઠ ઉમેદવારો સાથે મેદાનમાં ઉતરશે અને જનતાના પાયાના પ્રશ્નોના ઉકેલ માટે વધુમાં વધુ બેઠકો જીતશે.
મેવાણીએ વડોદરાની જનતાને જાગૃત થવા અને કોંગ્રેસની આ 'ચાર્જશીટ' વાંચવા અપીલ કરી હતી.





