પંચમહાલ જિલ્લામાં શહેરા–મોરવા રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વૃદ્ધોના મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મળતી માહિતી મુજબ પરિવાર બેસણામાં જઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી.
શહેરા-મોરવા રોડ પર ગંભીર અકસ્માત
અકસ્માતમાં અણીયાદ ગામના ભરવાડ ફળીયા નજીક થયો હતો. શહેરા–મોરવા રોડ પરથી પસાર થતી વખતે અચાનક છકડા ચાલકે કાબૂ ગુમાવ્યો અને છકડો પલટી ખાઈ ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં સવાર એક મહિલા સહિત બે વૃદ્ધોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાઓ ગંભીર હોવાને કારણે બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું
અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક શહેરા પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિનો કાબૂ સંભાળ્યો હતો. પોલીસે બંને મૃતકોના મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરિવારના બે સભ્યોના અચાનક થયેલા મોતના સમાચાર મળતા કવાલી ગામ સહિત મૃતકોના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. બેસણામાં જવા નીકળેલો પરિવાર પળવારમાં શોકમાં ગરકાવ થઈ જતા સમગ્ર વિસ્તારમાં પણ દુઃખની લાગણી છવાઈ ગઈ છે.




















