મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોનાં મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. માહિતી મુજબ, પરિવાર રાજસ્થાનમાં લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. તેઓ ઈકો કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે ઉનાવા નજીક અચાનક ગાડી ડિવાઈડર સાથે જોરદાર અથડાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત એટલો ભયાનક હતો કે પિતા-પુત્ર, એક સ્ત્રી અને એક બાળકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતકોમાં રામલાલ કુમાવત, કોમલ કુમાવત અને કૈલાશ કુમાવત સહિત એક નિર્દોષ બાળકનો સમાવેશ થાય છે. ઉપરાંત એક વૃદ્ધ મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ દુર્ભાગ્યે મોત થયું હતું. આ રીતે કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે.
આ અકસ્માતમાં અન્ય છ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ ઉનાવા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ ગાડી ડિવાઈડર સાથે અથડાતા આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે, જોકે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ કરુણ બનાવે પરિવારમાં તેમજ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.




















