Sasaram train fire: બિહારના સાસારામ રેલવે સ્ટેશન પર સોમવારની વહેલી સવારે એક મોટો અકસ્માત ટળી ગયો, જ્યારે સાસારામથી પટના જતી પેસેન્જર ટ્રેનના એક કોચમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. પ્લેટફોર્મ નંબર 6 પર થયેલી આ ઘટનાએ મુસાફરોમાં ભારે ભય અને ગભરાટ ફેલાવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એક કોચ સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગયો છે. લોકો જીવ બચાવવા માટે ટ્રેનમાંથી દોડતા દેખાયા હતા.
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શંકા
અહેવાલો અનુસાર, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શંકા છે. આગ એટલી તીવ્ર હતી કે ટ્રેનનો એક સમગ્ર કોચ બળીને રાખ થઈ ગયો હતો. રેલવે અધિકારીઓએ તે કોચને તરત જ ટ્રેનમાંથી અલગ કરી દીધો હતો.
ફાયર વિભાગ અને આરપીએફની ટીમે લગભગ તરત જ સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો. આરપીએફ ઇન્સ્પેક્ટર સંજીવ કુમારે જણાવ્યું કે, “આગ પર કાબુ મેળવવા માટે ખૂબ જ પ્રયાસો કરવામાં આવ્યા. સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ મુસાફરને ઇજા કે જાનહાનિ થઈ નથી.”
રેલવે વહીવટીતંત્રે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: UPમાં બે દિવસ વર્ક ફ્રોમ હોમ મંજૂર : યોગીની બેઠક પછી લીલી ઝંડી, કંપનીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર
વ્યવસ્થાપનની બેદરકારીના આરોપ
જોકે, સ્થાનિક રહેવાસીઓ અને મુસાફરો રેલવે વ્યવસ્થાપન પર ભારે ગુસ્સે છે. તેમનું કહેવું છે કે સ્ટેશન પર પાણીની પાઇપલાઇન ખાલી હતી અને અગ્નિશામક સિલિન્ડરોમાં પણ ગેસ નહોતો. જો સમયસર પાણી અને અગ્નિશામક સાધનો ઉપલબ્ધ હોત તો આગને વધુ ફેલાતી અટકાવી શકાઈ હોત અને કોચને આટલું નુકસાન ન થાત.આ ઘટનાએ ફરી એક વાર રેલ્વે સ્ટેશનો પર અગ્નિશમન વ્યવસ્થાની તૈયારી અંગે સવાલો ઊભા કર્યા છે.





