નવી દિલ્હી: વર્ષ 2024માં દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા NEET-UG પેપર લીક કેસમાં મહત્વનો વળાંક આવ્યો છે. બિહાર પોલીસ દ્વારા પેપર લીક રેકેટના કથિત મુખ્ય સૂત્રધાર તરીકે નામ જાહેર કરાયેલા સંજીવ કુમાર ઉર્ફે સંજીવ મુખિયાને કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ આ કેસમાં ક્લીન ચિટ આપી છે. CBIનું કહેવું છે કે તેની તપાસ દરમિયાન સંજીવ મુખિયા પેપર લીક અથવા પ્રશ્નપત્રની ગેરકાયદે વહેંચણીમાં સામેલ હોવાના કોઈ વિશ્વસનીય પુરાવા મળ્યા નથી.
NEET-UG પેપર લીક કેસની તપાસ શરૂઆતમાં બિહાર પોલીસ કરી રહી હતી. બાદમાં કેન્દ્ર સરકારે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ CBIને સોંપી હતી. તપાસ દરમિયાન CBIએ સમગ્ર કાવતરાની અલગ-અલગ કડીઓની તપાસ કરી અને અનેક રાજ્યોમાં દરોડા તેમજ પૂછપરછ હાથ ધરી હતી.
બિહાર પોલીસે શંકાના આધારે નામ ઉમેર્યું હતું
CBIના જણાવ્યા અનુસાર, સંજીવ મુખિયાનું નામ શરૂઆતમાં બિહાર પોલીસની એફઆઈઆરમાં સામેલ કરવામાં આવ્યું હતું. તેનું મુખ્ય કારણ એ હતું કે તે અગાઉના કેટલાક પેપર લીક કેસોમાં આરોપી રહી ચૂક્યો હોવાથી તપાસ એજન્સીઓને તેના પર શંકા હતી. જોકે, NEET-UG પેપર લીક કેસમાં તેની સીધી સંડોવણી સાબિત કરે તેવા કોઈ પુરાવા CBIને મળ્યા નથી.
તપાસ દરમિયાન સંજીવ મુખિયાની પૂછપરછ પણ કરવામાં આવી હતી. તે એક સમયે ફરાર રહ્યો હતો, ત્યારબાદ બિહાર પોલીસે તેની ધરપકડ કરી હતી. CBIએ પણ એફઆઈઆરમાં નામ હોવાને કારણે તેની કસ્ટડી મેળવીને પૂછપરછ કરી હતી. જોકે, પૂરતા પુરાવાના અભાવે CBIએ તેની સામે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી નથી.
આ પણ વાંચો: 'પેપર લીક પર આજે વધુ કડક કાર્યવાહી થશે' : મોડી રાત્રે PM મોદીનો વિદ્યાર્થીઓ માટે Video સંદેશ
45 આરોપીઓ સામે ચાર્જશીટ
CBIએ પોતાની તપાસમાં પેપર લીકના સમગ્ર નેટવર્કની ઓળખ કરી હોવાનો દાવો કર્યો છે. એજન્સીએ પ્રશ્નપત્રની ચોરી, તેના સંગ્રહ, વહેંચણી અને ઉમેદવારો સુધી પહોંચાડવાના કાવતરામાં સામેલ કુલ 45 આરોપીઓ સામે પટણાની વિશેષ અદાલતમાં અલગ-અલગ ચાર્જશીટ દાખલ કરી છે.
તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, દરેક આરોપી સામે ઉપલબ્ધ પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવી છે અને કેસમાં સામેલ કોઈપણ દોષિત કાયદાની પકડમાંથી બચી ન જાય તે માટે તપાસ સંપૂર્ણ વૈજ્ઞાનિક અને પુરાવા આધારિત રીતે કરવામાં આવી છે.
જામીન મળ્યા, પરંતુ હજુ જેલમાં
NEET-UG પેપર લીક કેસમાં ચાર્જશીટ દાખલ ન થતાં સંજીવ મુખિયાને આ કેસમાં જામીન મળી ગયા છે. જોકે, તે અન્ય પેપર લીક અને ગુનાહિત કેસોમાં પણ આરોપી હોવાથી હાલ ન્યાયિક કસ્ટડીમાં જ છે. એટલે કે NEET કેસમાં રાહત મળવા છતાં તેની કાનૂની મુશ્કેલીઓ હજુ સમાપ્ત થઈ નથી.
આ પણ વાંચો: 'ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગનું શું થયું' : અનશન સમાપ્ત કર્યા બાદ સોનમ વાંગચૂકએ આપ્યું મોટું નિવેદન
દેશવ્યાપી ચર્ચામાં રહ્યો હતો NEET-UG કેસ
વર્ષ 2024માં NEET-UG પરીક્ષાના પ્રશ્નપત્ર લીક થવાના આરોપો સામે આવ્યા બાદ દેશભરમાં ભારે વિરોધ થયો હતો. લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓએ પરીક્ષાની પારદર્શિતા પર સવાલો ઉઠાવ્યા હતા. આ વિવાદ બાદ કેન્દ્ર સરકારે તપાસ CBIને સોંપી હતી અને ત્યારથી એજન્સી સમગ્ર કાવતરાની તપાસ કરી રહી છે.
સંજીવ મુખિયાને ક્લીન ચિટ મળવી આ કેસનો મહત્વપૂર્ણ વિકાસ માનવામાં આવી રહ્યો છે. જોકે, કેસમાં અન્ય આરોપીઓ સામેની કાર્યવાહી અને ટ્રાયલ હજુ ચાલુ છે, તેથી આગામી દિવસોમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે.





