Bihar Chief Minister: સમ્રાટ ચૌધરી બન્યા બિહારના 24મા મુખ્યમંત્રી, આજે 15 એપ્રિલ 2026ના રોજ સવારે પટણાના લોકભવનમાં તેમણે શપથ લીધા. સાથે જ જેડીયુના બે અનુભવી નેતાઓ વિજય કુમાર ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદ યાદવએ Dy CM તરીકે શપથ ગ્રહણ કર્યા. નીતીશ કુમારે ગઈકાલે રાજીનામું આપ્યા બાદ આ નવી સરકારનું ગઠન થયું છે. લગભગ બે દાયકા સુધી બિહાર પર શાસન કરનારા નીતીશ કુમાર હવે રાજ્યસભામાં પ્રવેશ કરશે અને દિલ્હીના રાજકારણમાં વધુ સક્રિય થશે.
ભાજપ માટે ઐતિહાસિક ક્ષણ
46 વર્ષના લાંબા સંઘર્ષ પછી ભાજપને પ્રથમ વખત બિહારમાં મુખ્યમંત્રી પદ મળ્યું છે. 2025ની વિધાનસભા ચૂંટણીમાં NDAને ભવ્ય જીત મળી હતી (202 બેઠકો). ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો અને હવે પોતાના નેતા સાથે સત્તાનું કેન્દ્ર બન્યું છે. સમ્રાટ ચૌધરી (ઉર્ફે રાકેશ કુમાર) માત્ર 9 વર્ષ પહેલાં ભાજપમાં જોડાયા હતા, પરંતુ તેમની આક્રમક અને બોલકી છબીને કારણે તેઓ ઝડપથી ઊંચા પદે પહોંચ્યા.
26 વર્ષ પહેલાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા, 2024માં ડેપ્યુટી સીએમ બન્યા અને હવે સીએમ તરીકે બિહારનું નેતૃત્વ સંભાળશે. તેમની સામે મુખ્ય પડકારો છે – વિકાસની ગતિ જાળવવી, NDA ગઠબંધનને મજબૂત રાખવું અને વિરોધીઓના હુમલાઓનો સામનો કરવો.
Dy CM પસંદગી
વિજય કુમાર ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદ યાદવ – જેડીયુના આ બંને વરિષ્ઠ અને અનુભવી નેતાઓને Dy CM બનાવવામાં આવ્યા છે. નીતીશ કુમારે પોતાના પુત્ર નિશાંત કુમારને આ પદ માટે ના પાડી દીધી હતી અને પાર્ટીએ ‘ઓલ્ડ ગાર્ડ’ પર વિશ્વાસ મૂક્યો છે. બિજેન્દ્ર પ્રસાદ યાદવની યાત્રા ખૂબ જ પ્રેરણાદાયી છે.
1990થી સુપૌલથી સતત ધારાસભ્ય (2025માં નવમી વખત જીત).“કોસીના વિશ્વકર્મા” તરીકે ઓળખ.
1991માં લાલુ પ્રસાદ યાદવની સરકારમાં મંત્રી બન્યા.
2005થી નીતીશ કુમારના કેબિનેટમાં અનેક વખત ઉર્જા મંત્રી તરીકે સેવા આપી.
ફાઇનાન્સ અને કોમર્શિયલ ટેક્સ જેવા મહત્વના પોર્ટફોલિયો સંભાળ્યા.
2025માં કોંગ્રેસના મિન્નતુલ્લાહ રહેમાનીને હરાવીને જીત મેળવી.
આ પણ વાંચો: નોઈડા હિંસા કેસમાં મોટો ખુલાસો : રાતોરાત ઘડાયો વોટ્સએપ ગ્રુપથી ઉશ્કેરણીનો પ્લાન! જાણો કેવી રીતે ખૂલી પોલ
આ નવી “સમ્રાટ સરકાર”માં જેડીયુના અનુભવ અને ભાજપની તાકાતનું મિશ્રણ જોવા મળશે. બિહારના વિકાસ, રોજગાર, શિક્ષણ અને કાયદો-વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત થશે તેવી અપેક્ષા છે.આ રાજકીય ફેરફાર બિહાર માટે નવી શરૂઆતનું પ્રતીક છે. શું સમ્રાટ ચૌધરી નીતિશ કુમારના વારસાને આગળ વધારી શકશે અને ભાજપને વધુ મજબૂતીથી સ્થાપિત કરી શકશે?





