Former Indian player : ભારતીય ક્રિકેટના ચાહકો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અને નેશનલ સિલેક્ટર તરીકે સેવા આપી ચૂકેલા સલિલ અંકોલા હાલમાં ગંભીર માનસિક બીમારી એટલે કે ડિપ્રેશનનો શિકાર બન્યા છે. 58 વર્ષીય અંકોલાને પુણે નજીકના એક ખાસ માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. 1989 માં પાકિસ્તાન સામે જે મેચમાં સચિન તેંડુલકરે ડેબ્યૂ કર્યું હતું, તે જ મેચથી કરિયરની શરૂઆત કરનાર સલિલ અંકોલા માટે આ સમય ખૂબ જ કસોટીભર્યો સાબિત થઈ રહ્યો છે.
માતાના નિધનથી લાગ્યો ઊંડો આઘાત
સલિલ અંકોલાની હાલત લથડવાનું મુખ્ય કારણ અંગત જીવનમાં આવેલી એક મોટી દુર્ઘટના છે. તેમની પત્ની રિયા અંકોલાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ઓક્ટોબર 2024 માં સલિલની માતાનું અવસાન થયું હતું. માતા સાથે તેમને ખૂબ જ ગાઢ લગાવ હતો અને આ આઘાત તેઓ સહન કરી શક્યા નહીં. માતાને ગુમાવ્યા બાદ તેઓ માનસિક રીતે સંપૂર્ણપણે તૂટી ગયા હતા. આ દુઃખને કારણે તેઓ વારંવાર બીમાર પડવા લાગ્યા હતા અને સામાન્ય જીવન જીવવું તેમના માટે મુશ્કેલ બની ગયું હતું. આખરે, તેમણે પોતે જ આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે પ્રોફેશનલ ટ્રીટમેન્ટ લેવાનો મક્કમ નિર્ણય લીધો હતો.
વ્યસન મુક્તિ અને ફરી લડવાની તૈયારી
સલિલ અંકોલા માટે મુશ્કેલીઓ નવી નથી, તેઓ પહેલા પણ જીવનના મોટા પડકારોનો સામનો કરી ચૂક્યા છે. લગભગ બે દાયકા પહેલા તેઓ દારૂના ભયંકર વ્યસનમાં સપડાયા હતા, જેને કારણે તેમનું જીવન અને કરિયર બંને જોખમમાં મુકાયા હતા. જોકે, ત્યારે પણ તેમણે હિંમત હાર્યા વગર રિહેબ સેન્ટરમાં સારવાર લીધી હતી અને વ્યસન પર વિજય મેળવ્યો હતો. હાલની તેમની માનસિક સ્થિતિને દારૂ સાથે કોઈ લેવાદેવા નથી કારણ કે તેઓ લાંબા સમયથી વ્યસનમુક્ત છે. રિયા અંકોલાએ આશા વ્યક્ત કરી છે કે સલિલ હંમેશાથી એક 'ફાઇટર' રહ્યા છે અને અત્યારે પણ તેઓ નિયમિત વર્કઆઉટ કરીને ઝડપથી રિકવરી મેળવી રહ્યા છે.
ભારત-પાક મેચને લઈને કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય: ICC ટુર્નામેન્ટ સહિત પાકિસ્તાન સાથે રમવા પર મોટો ખુલાસો!
એક ગાંઠે છીનવી લીધું ક્રિકેટનું સપનું
સલિલ અંકોલાની ક્રિકેટ કરિયર આશાસ્પદ હતી પરંતુ કિસ્મતે તેમની સાથે ક્રૂર મજાક કરી હતી. 1989 માં સચિન તેંડુલકર અને વકાર યુનિસ જેવા દિગ્ગજો સાથે ડેબ્યૂ કરનાર અંકોલામાં અપાર ક્ષમતા હતી. જોકે, 1997 માં જ્યારે તેમની કરિયર પીક પર હતી, ત્યારે તેમને Chin ના ભાગમાં એક ટ્યુમર એટલે કે ગાંઠ હોવાનું નિદાન થયું હતું. આ જીવલેણ બીમારીને કારણે તેમણે માત્ર 28 વર્ષની નાની ઉંમરે ક્રિકેટમાંથી ફરજિયાત નિવૃત્તિ લેવી પડી હતી. તેમણે ભારત માટે 1 ટેસ્ટ અને 20 ODI મેચ રમી હતી, જેમાં તેમણે કુલ 15 વિકેટ ઝડપી હતી. ઘરેલું ક્રિકેટમાં પણ તેમનો 181 વિકેટનો રેકોર્ડ ખૂબ જ પ્રભાવશાળી રહ્યો છે.
‘ક્રિકેટના ભગવાન’ એ પાકિસ્તાન માટે કરી હતી ફિલ્ડિંગ!: ભારત પહેલાં પાકિસ્તાન માટે મેદાનમાં ઉતર્યા હતા સચિન તેંડુલકર
મનોરંજનની દુનિયામાં બીજી ઇનિંગ
ક્રિકેટમાંથી અકાળે નિવૃત્તિ લીધા બાદ સલિલ અંકોલાએ હિંમત ન હારી અને ગ્લેમર વર્લ્ડમાં પ્રવેશ કર્યો હતો. તેમણે પોતાના લુક્સ અને પર્સનાલિટીના જોરે અભિનય ક્ષેત્રે ઓળખ બનાવી હતી. તેઓ પ્રખ્યાત ટીવી શો 'CID' માં સ્પેશિયલ ઓફિસર તરીકે જોવા મળ્યા હતા, જેને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કર્યો હતો. આ ઉપરાંત તેમણે 'કુરુક્ષેત્ર', 'પિતા' અને 'ચુરા લિયા હૈ તુમને' જેવી ઘણી હિન્દી ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. જોકે, અભિનયમાં પણ સ્થિરતા ન મળતા તેઓ ફરીથી ક્રિકેટ વહીવટમાં સક્રિય થયા હતા અને 2023-24 દરમિયાન ભારતીય ટીમના નેશનલ સિલેક્ટર જેવી મહત્વની જવાબદારી સંભાળી હતી.





