કુમકુમ મંદિરના સંતો દ્વારા લેક ડિસ્ટ્રીક્ટ ખાતે સત્સંગ સભા યોજાઈ અને વિન્ડરમેર ખાતે ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો. આનંદ પરિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર - અમદાવાદના સંતો અત્યારે યુરોપના સત્સંગ પ્રચાર અર્થે વિચરણ કરી રહ્યા છે. તે દરમિયાન તેઓ યુરોપના લેક ડિસ્ટ્રિક્ટ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં સત્સંગ સભા યોજી હતી. ત્યારબાદ તેઓએ વિન્ડરમેર ખાતે શ્રી હરિકૃષ્ણ મહારાજનો પુષ્પોથી અભિષેક કર્યો હતો.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી જણાવ્યું હતું કે, ભગવાન અને તેમના સંતપુરુષોએ જ્યાં જ્યાં વિચરણ કર્યું હોય તે ભૂમિ પવિત્ર બની જાય છે. તે ભૂમિના પણ જે દર્શન કરે છે તેનો પણ મોક્ષ થાય છે. ભગવાનની પ્રસાદીમય જગ્યાના દર્શન કરવાથી ભગવાનની સ્મૃતિ થઈ આવે છે. તેથી આવા તીર્થક્ષેત્રોમાં અવશ્ય વિચરણ કરવું જોઈએ. શ્રી મુક્તજીવન સ્વામીબાપા ઈ.સ. 1979માં અહીંયા લેક ડીસ્ટ્રીક્ટ ખાતે પધાર્યા હતા અને સત્સંગ સભા યોજી હતી. તેની સ્મૃતિ માટે આજે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે, 'જીવનમાં સુખી થવું હોય તો શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ આપણને સંદેશ આપ્યો છે કે, ભગવાનને મુખ્ય કરવા અને વ્યવહારને ગૌણ કરી ભગવાનની ભક્તિ કરીને મોક્ષ સાધી લેવો જોઈએ. તેથી આપણે જીવનમાં ભગવાનને પ્રાધાન્ય જેટલું આપીશું તેટલા વધુ સુખી થઈ શકીશું'.





















