logo-img
Sacred Relics Of Lord Buddha Arrive In Sri Lanka

શ્રીલંકા પહોંચ્યા ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષો : ભારત–શ્રીલંકા આધ્યાત્મિક સંબંધોને નવી ઊંચાઈ, રાજ્યપાલ અને DyCM હર્ષ સંઘવી પણ શ્રીલંકા!

શ્રીલંકા પહોંચ્યા ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષો
Published by: Offbeat Team
| Last Updated: Feb 05, 2026, 10:58 AM IST

શ્રીલંકામાં ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષોનું આગમન એક ઐતિહાસિક અને આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ ઘટના બની છે. આ અવશેષોનું કોલંબોના પ્રસિદ્ધ ગંગારામાયા મંદિરમાં પ્રદર્શન શરૂ થતાં ભારત અને શ્રીલંકા વચ્ચેના પ્રાચીન બૌદ્ધ, સાંસ્કૃતિક અને સભ્યતાગત સંબંધોને વધુ મજબૂતી મળી છે. ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા પવિત્ર અવશેષો શ્રીલંકા પહોંચ્યા હતા. બંને દેશો વચ્ચેના સ્થાપિત પ્રોટોકોલ મુજબ તેમને પૂર્ણ રાજ્ય સન્માન આપવામાં આવ્યું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળ અવશેષો સાથે શ્રીલંકા પહોંચ્યું હતું. આ પ્રતિનિધિમંડળમાં વરિષ્ઠ બૌદ્ધ ભિક્ષુઓ, સરકારી અધિકારીઓ તથા અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ સામેલ હતા.

શ્રીલંકાના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા

4 ફેબ્રુઆરી, 2026ના રોજ ગંગારામાયા મંદિરમાં પવિત્ર અવશેષોના પ્રદર્શનનું ઉદ્ઘાટન શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગંગારામાયા મંદિરના મુખ્ય મઠાધિપતિ પૂજનીય ડૉ. કિરીંડે અસાજી થેરો સહિત ભારત અને શ્રીલંકાના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. શ્રીલંકા સરકારના બુદ્ધશાસન, આરોગ્ય, જનસંચાર તથા જાહેર વહીવટ વિભાગના મંત્રીઓની હાજરીએ આ પ્રસંગને વિશેષ ગૌરવ આપ્યું.

'સમકાલીન ભારત અને પવિત્ર અવશેષોની સાંસ્કૃતિક ભાગીદારી'

આ પ્રદર્શન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2025માં શ્રીલંકાની રાજ્ય મુલાકાત દરમિયાન વ્યક્ત કરેલી પ્રતિબદ્ધતાનો ભાગ છે, જેમાં બંને દેશો વચ્ચે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સહકારને આગળ વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. ગંગારામાયા મંદિરમાં “પિપ્રાહવાના પવિત્ર અવશેષોની શોધ” તથા “સમકાલીન ભારત અને પવિત્ર અવશેષોની સાંસ્કૃતિક ભાગીદારી” વિષયક વિશેષ પ્રદર્શનો પણ શરૂ કરાયા છે.

દેશ-વિદેશના ભક્તો દર્શન અને પ્રાર્થના કરી શકશે

પરંપરાગત ધાર્મિક વિધિઓ સાથે પવિત્ર અવશેષોનું સ્વાગત કરવામાં આવ્યું છે. 5 ફેબ્રુઆરીથી આ અવશેષો જાહેર દર્શન માટે ખુલ્લા રહેશે, જેથી દેશ-વિદેશના ભક્તો દર્શન અને પ્રાર્થના કરી શકશે. શ્રીલંકાના 78મા સ્વતંત્રતા દિવસના અવસર સાથે આ કાર્યક્રમ યોજાતાં તેનું મહત્વ વધુ વધી ગયું છે. ભારતની બહાર દેવનીમોરી અવશેષોની આ પ્રથમ જાહેર પૂજા છે. આ પ્રદર્શન ભગવાન બુદ્ધના કરુણા, શાંતિ અને અહિંસાના સંદેશને પુનઃજીવંત કરે છે અને ભારત–શ્રીલંકા વચ્ચેના દ્રઢ લોકો-થી-લોકો સંબંધોને નવી દિશા આપે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now