Home Gujarat Ahmedabad Sabarmati River Dry Vasna Barrage Maintenance Ahmedabad

સાબરમતીના પટમાં એવા તે કયા ‘ખજાના’ની લોકો કરી રહ્યા છે ગોતમગોત! : વાસણા બેરેજના દરવાજા રિપેર કરવા નદી ખાલી કરાતા લોકો ઉમટ્યા

sabarmati river
Play Video
Published by: Viral Patel
Last Updated: Apr 18, 2026, 06:11 AM IST

Ahmedabad News: સામાન્ય રીતે છલકાતી અને રિવરફ્રન્ટના નઝારાથી આકર્ષતી સાબરમતી નદી અત્યારે એક જુદા જ કારણસર ચર્ચામાં છે. વાસણા બેરેજના દરવાજાના સમારકામ માટે નદીનું પાણી ખાલી કરવામાં આવતા જ નદીના પટમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ભીડ કોઈ પર્યટન માટે નહીં, પરંતુ નદીના તળિયે છુપાયેલા 'ખજાના'ને શોધવા માટે એકઠી થઈ છે.

સમારકામ માટે લેવાયો નિર્ણય

અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના કુલ 18 દરવાજાનું મેન્ટેનન્સ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. લાંબા સમયથી દરવાજાના સમારકામની જરૂરિયાત હોવાથી તંત્ર દ્વારા આ આયોજન કરાયું હતું. ટેકનિકલ કારણોસર અને રિપેરિંગ કામમાં સરળતા રહે તે માટે નદીમાં પાણીનું સ્તર ઘટાડવું અનિવાર્ય હતું.

આ પણ વાંચો: ઉનાળાની રજાઓમાં કરો તિરુપતિ અને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની યાત્રા : IRCTC લાવ્યું શાનદાર ઓફર, જાણો ભાડું અને સંપૂર્ણ વિગત

નદી ખાલી થતા દેખાયું તળિયું

સમારકામ પ્રક્રિયાના ભાગરૂપે બેરેજના 8 દરવાજા ખોલીને નદીનું પાણી વહાવી દેવામાં આવ્યું છે. આને કારણે રિવરફ્રન્ટના પ્રખ્યાત વોક-વે પાસે હંમેશા પાણીથી ભરેલી દેખાતી નદીમાં અત્યારે માત્ર રેતી અને કાદવ જોવા મળી રહ્યો છે. વર્ષો પછી નદી આ રીતે ખાલી થતા શહેરનો એક અલગ જ ચહેરો સામે આવ્યો છે.

'સિક્કા' અને 'ઘરેણાં'ની શોધમાં લોકોની ભીડ

જેવી નદી ખાલી થઈ કે તરત જ સોશિયલ મીડિયા પર તેના વીડિયો વાયરલ થયા અને લોકો નદીના પટમાં ઉતરી પડ્યા હતા. સ્થાનિકો અને ખાસ કરીને યુવાનોમાં નદીના કાદવમાંથી કંઈક 'કિંમતી' શોધવાની હોડ જામી છે. ભારતીય સંસ્કૃતિમાં નદીમાં સિક્કા નાખવાની પરંપરા છે. વર્ષોથી લોકોએ નદીમાં પધરાવેલા સિક્કાઓ અત્યારે કાદવમાં દેખાઈ રહ્યા છે. ગણેશ વિસર્જન કે અન્ય ધાર્મિક વિધિઓ દરમિયાન પધરાવવામાં આવેલી મૂર્તિઓ અને પૂજાની સામગ્રી પણ નજરે પડી રહી છે. કેટલાક લોકો આશા રાખી રહ્યા છે કે તેમને નદીના તળિયેથી કોઈ જૂના ઘરેણાં કે કિંમતી વસ્તુઓ મળી આવશે.

આ પણ વાંચો: "શહેર કોંગ્રેસ પ્રમુખ ઓલા ગાડી કરીને પૈસા લેવા આવ્યાં હતાં" : ટિકિટ મુદ્દે વાળ પકડીને લાફો માર્યો હોવાનો મહિલા કાર્યકરનો આક્ષેપ

જોકે, કાદવમાં ઉતરવું જોખમી હોવા છતાં લોકો ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા લોકોને નદીના કાદવમાં ન ઉતરવા વિનંતી કરવામાં આવી છે, કારણ કે ઊંડો કાદવ જીવલેણ સાબિત થઈ શકે છે. સમારકામ પૂર્ણ થયા બાદ ફરીથી નદીને નર્મદાના પાણીથી ભરી દેવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now