સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલા સાબરડેરીમાં દૂધના ભાવ મુદ્દે ઉપજેલી તંગદિલી હિંસક બનાવમાં ફેરવાઈ હતી. સાબરડેરીના ભાવફેર વિવાદને લઈને એકઠા થયેલા ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હોવાના આરોપ સાથે 1000થી વધુ પશુપાલકો અને આગેવાનો સામે ગુનો નોંધાયો છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ લોખંડની પાઈપો, લાકડીઓ અને પથ્થરો લઈને ટોળાએ પૂર્વયોજિત રીતે તોફાન મચાવ્યું હતું. પોલીસના એક જવાનને ટોળાએ ખેંચી લઇને માર માર્યો હતો તેમજ તેને ધમકી પણ આપવામાં આવી હતી. આ ટોળાએ પોલીસ વાહન અને સાબરડેરીની મિલકતને પણ નુકસાન પહોંચાડ્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે.
હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથક ખાતે PI પી.એમ. ચૌધરી ફરિયાદી બનીને આ મામલે ગુનો નોંધાવ્યો છે. અત્યાર સુધીમાં 74 જેટલા આગેવાનો સહિત 1000 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
આ આરોપીઓમાં પૂર્વ ધારાસભ્ય તથા સાબરડેરીના ડિરેક્ટર જશુ પટેલ, કોંગ્રેસી આગેવાન રણજિતસિંહ સોલંકી, સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ બેંકના પૂર્વ વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી, તેમજ ધર્મેન્દ્રસિંહ જેતાવત અને કશ્યપ પટેલ સહિતના નામો સામેલ છે.
પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
તપાસ દરમિયાન અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ભુમિકા અંગે પણ તપાસ થઈ શકે છે, કારણ કે તેઓ પણ આ તંગદિલી વચ્ચે સાબરડેરી ખાતે પહોંચ્યા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની હલચલ તેજ: કોંગ્રેસે જાહેર કર્યા 243 ઉમેદવારો




