સાબરકાંઠામાં સાબર ડેરી સામે પશુપાલકોએ બાયો ચડાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી પશુપાલકોએ સાબર ડેરીના સત્તાધીશો સામે વિરોધ નોંધાવી રહ્યાં છે. જો કે, આ વિરોધ સામે પાંચમાં દિવસે સાબર ડેરીના વહીવટી તંત્રએ વાર્ષિક ભાવફેરને લઈ વધુ એકવાર જાહેરાત કરી છે. જે બાદ પણ કેટલીક માંગોને લઈ પુશપાલકો અડગ છે.
સાબર ડેરી પશુપાલકોને ભાવફેરના 995 રૂપિયા કિલો ફેટે ચુકવશે
સાબર ડેરીએ વાર્ષિક ભાવફેરને લઈને મોટી જાહેરાત કરી છે. જે મુજબ પશુપાલકોને 995 રૂપિયા કિલો ફેટે ચુકવાશે. જો કે, સાબર ડેરીએ ગત દિવસોમાં 990 રૂપિયાના ભાવફેરની વાત કરી હતી તેમ છતાં પણ પશુપાલકોનો વિરોધ યથાવત્ રહેતા હવે પ્રતિ કિલો ફેટે વધુ 5 રૂપિયાનો વધારો જાહેર કરાયો છે. અગાઉ 960 રૂપિયા મુજબ એડવાન્સ ભાવફેર ચુકવાયો હતો. જો કે, હવે બાકીના 35 રૂપિયાનો ભાવફેર સાધારણ સભા બાદ ચૂકવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
આ માંગને લઈ પશુપાલકો હજુએ અડગ?
પશુપાલકો પર કરવામાં આવેલા તમામ કેસ તાત્કાલિક પરત ખેંચવામાં આવે તેમજ સાબર ડેરી વિવાદમાં જે પશુપાલકોના મોત થયા છે, તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને મૃતક પરિવારને સાબર ડેરી દ્વારા રૂપિયા 1 કરોડ ફાળવવામાં આવે.
નિયામક મંડળની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી
વધતા જતા વિરોધના પગલે, સાબર ડેરીના નિયામક મંડળની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં ચેરમેન, વાઈસ ચેરમેન અને નિયામક મંડળના સભ્યોએ ભાગ લીધો. બેઠકમાં વાર્ષિક ભાવફેરના મુદ્દે અને વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી. બેઠક પહેલાં સ્થાનિક આગેવાનો અને સાંસદ સાથે પણ વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. બેઠકમાં વાર્ષિક સાધારણ સભા, ભાવફેરના મુદ્દાઓ અને સાબર ડેરી વિરુદ્ધ ગેરસમજ ફેલાવનારાઓની ભૂમિકા પર ગહન ચર્ચા થઈ. આ ઉપરાંત, આંદોલન દરમિયાન પોલીસ પર હુમલો કરનારાઓ સામે દાખલ થયેલા ગુનાઓનો મુદ્દો પણ ચર્ચાઈ શકે છે. બેઠક બાદ નિયામક મંડળ દ્વારા વધુ ભાવફેરની રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે






