ગુજરાતનું રાજકારણ હંમેશા અણધાર્યા વળાંકો માટે જાણીતું છે. તાજેતરમાં જ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર સાથેના વિવાદને કારણે રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા નવનીતે વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. ત્યારે હવે નવનીત બલધિયાએ હીરા સોલંકી અને સમાજની માફી માંગતો વીડિયો શેર કર્યો છે.
માફી માંગતા નવનીત બલધિયાએ વીડિયોમાં જણાવ્યું કે, "ગઈ કાલે કોંગ્રેસ પક્ષમાં જોડાયા બાદ જે કાઇ બોલાઈ ગયું હીરા ભાઈ વિશે કુંવરજી ભાવિ વિશે કે ભાઈ મારા ફોન રિસીવ નથી કરતાં. એ બદલ હું હીરાભાઈ કુંવરજી ભાઈ પાસે માફી માંગુ છું મારા સમાજની કે જે કોઈની લાગણી દુભાણી હોય એ બદલ હું માફી માંગુ છું, મારાથી જે ભૂલમાં બોલાઈ ગયું હોય એ બદલ હું સમાજ પાસે અને મારા આગેવાનો વડીલો જે કાઇ વિશે મારે બોલાણું છે, તે બદલ હું માફી માંગુ છું."
શું હતો સમગ્ર વિવાદ?
થોડા સમય પહેલા કલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર અને નવનીત વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. આ વિવાદ માત્ર વ્યક્તિગત ન રહેતા સામાજિક અને રાજકીય રંગ પકડી ગયો હતો. નવનીત પર થયેલા હુમલા બાદ તેને ન્યાય અપાવવા માટે કોળી સમાજ એકત્રિત થયો હતો. આ લડતના અંતે જયરાજ આહીરને જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો હતો.
ભાજપના મંત્રીઓનું પીઠબળ અને મધ્યસ્થી
આ આખા ઘટનાક્રમમાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે ભાજપ સરકારના કદાવર મંત્રીઓ અને કોળી સમાજના આગેવાનો નવનીતના પક્ષમાં ઉભા રહ્યા હતા. કોળી સમાજના મસીહા ગણાતા મંત્રી પરસોત્તમ સોલંકીએ નવનીતને સામાજિક રક્ષણ પૂરું પાડ્યું હતું. આ વિવાદમાં સમાધાન અને ન્યાય માટે હીરા સોલંકીએ મહત્વની મધ્યસ્થી કરી હતી. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પણ વ્યક્તિગત મુલાકાત લઈને નવનીતના ખબર-અંતર પૂછ્યા હતા. ભાજપના આટલા દિગ્ગજ નેતાઓનો ટેકો હોવા છતાં, નવનીત બલધિયા કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાયા બાદ નવનીત બલધિયાએ કહ્યું હતું કે "હીરા ભાઈ અને કુંવરજી ભાઈ મારો ફોન રિસીવ નથી કરતાં." તે મામલે હવે હીરા સોલંકી અને કુંવરજી બાવળિયા સહિત સમગ્ર સમાજ પાસે માફી માંગતો વીડિયો શેર કર્યો છે.





