Home Gujarat Review Meeting On Law And Order Situation In Gujarat Meeting Chaired By Home Minister Harsh Sanghvi

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક : ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક
Published by: OBS Bureau
Last Updated: Jul 08, 2025, 05:41 PM IST

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ખાસ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સુ નિપૂણા તોરવણે, તમામ પોલીસ કમિશનર તેમજ તમામ રેન્જના વડાઓ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યમાં ડ્રગ્સ સામે ચાલી રહેલી ઝુંબેશ અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા એનડીપીએસના કેસોમાં અગાઉની સરખામણીમાં બમણાથી પણ વધુ કેસો કરવામાં આવતા મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવી સ્થાનિક પોલીસ પણ એનડીપીએસના કેસ કરવા અંગે સૂચના આપી હતી. તે ઉપરાંત માત્ર ૧૫ દિવસમાં ડ્રગ્સ માફીયાઓ સામે PIT NDPSના મહત્તમ ૧૭ કેસ કરવા બદલ મંત્રીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યા હતા અને હજુ મહત્તમ કેસ કરવા સૂચના આપી હતી.



ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ થયેલી કાર્યવાહી માટે પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તે ઉપરાંત રાજ્યમાં GujCTOC હેઠળ કરવામાં આવેલી સઘન કાર્યવાહીની પણ મંત્રીએ સરાહના કરી હતી. GujCTOC હેઠળ પાંચ મહિનામાં મહત્તમ ૮ કેસ કરી ૭૭ આરોપીઓ સામે કેસ કરવા આવ્યા છે.



રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કરવામાં આવેલી કામગીરીનો રીવ્યુ કરવામાં આવ્યો હતો. અસામાજિક તત્વો વિરુદ્ધ થયેલી ઐતિહાસિક કામગીરી બદલ અભિનંદન પાઠવી આવા તત્વો સામે હજુ કડકમાં કડક કાર્યવાહી કરવાની દિશામાં ચોક્કસ રણનીતિ ઘડવા સૂચના આપી હતી. તા. ૧લી જાન્યુઆરી ૨૦૨૪થી તા. ૩૧મી મે ૨૦૨૫ દરમિયાન અસામાજિક તત્વો સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં ૫૮૨ ગેરકાયદેસર દબાણ દૂર કરાયાં, ગેરકાયદેસર વીજ જોડાણ અંતર્ગત ૧૮૬૧ સામે કાર્યવાહી, ૬૮૯ રીઢા ગુનેગારો સામે જામીન રદ કરવા અંગેની કાર્યવાહી તેમજ અસામાજિક તત્વોના બેંક એકાઉન્ટ તપાસી ગેરકાયદેસર નાણાંકીય વ્યવહારો કરનાર ૩૯૦ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અસામાજિક તત્વો વિરુદ્ધ કરવામાં આવેલી આ કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી છે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યવાહી હજુ કડક બનાવવા મંત્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી.



રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ ખૂબ કડક કામગીરી કરવામાં આવી રહી છે. તા. ૧લી જાન્યુઆરી ૨૦૨૪થી તા. ૩૧મી મે ૨૦૨૫ દરમિયાન ૨૪૮૭ વ્યાજખોરો વિરૂધ્ધ ૧૦૫૪ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને ગુજરાત પોલીસ ૬૪૧ લોન મેળા યોજી નાગરિકોને મદદરૂપ થઈ છે. હજુ સ્થાનિક પોલીસ સ્ટેશને એફઆઇઆરમાં વિલંબ ન થાય તેની ખાસ કાળજી રાખવા અને વ્યાજખોર વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે માટે અરજદારને સિનિયર ઓફિસર ખુદ સંવેદનાપૂર્વક સાંભળે અને તેની સમસ્યાનો ઉકેલ લાવે તે અંગે મંત્રી દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી. તે ઉપરાંત હની ટ્રેપના તા. ૧લી જાન્યુઆરી ૨૦૨૪થી તા. ૩૧મી મે ૨૦૨૫ દરમિયાન ૨૯૬ આરોપીઓ વિરૂધ્ધ ૬૬ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. હની ટ્રેપ જેવા ગુનાઓમાં કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now