યાત્રાધામ પાવાગઢમાં 8 સપ્ટેમ્બરના રોજ મોટી દુર્ધટના સર્જાઈ હતી. ગુડ્સ રોપ વેનો વાયર તૂટતા 6 લોકોનાં મોત થયા હતા. ત્યારે ઘટનાના બાદ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. પંચમહાલ અધિક નિવાસી કલેકટર જે.જે. પટેલે કહ્યું કે, આ ઘટના અંગે એક તપાસ કમિટીની રચના કરવામા આવી હતી. જે તપાસ કમિટીએ પ્રાથમિક રિપોર્ટ આપ્યો છે.
'FSL બાદ જ જાણવા મળશે કે...'
પંચમહાલ અધિક નિવાસી કલેકટરે કહ્યું કે, 'પ્રાથમિક તપાસનો રિપોર્ટ સામે આવ્યો છે. જે મુજબ કેબલ તૂટી ગયા છે, જેના ચોક્કસ કારણો જાણવા મળી શકે તે માટે FSLની ટીમની મદદ લેવામાં આવી છે. જે FSL બાદ જ જાણવા મળશે કે, ક્યા કારણોસર આ કેબલ તૂટી ગયું છે. રોપ કેબલની ટેન્સાઇલ સ્ટ્રેન્થ એટલે કે, તાણ શક્તિનું લેબમાં પરીક્ષણ કરાવવા અને તૂટી ગયેલા રોપ કેબલના બન્ને છેડાનું એફ એસ એલ પરીક્ષણ કરાવવા રિપોર્ટમાં જણાવાયું છે'.
વધુ તપાસ મુખ્ય વિદ્યુત નિરીક્ષક કરશે
જે મામલે જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર રિપોર્ટને લઈ વધુ કાર્યવાહી માટે મુખ્ય વિદ્યુત નિરીક્ષક, ગાંધીનગરને લેખિત જાણ કરી છે. ત્યારે હવે વધુ તપાસ અને કાર્યવાહી મુખ્ય વિદ્યુત નિરીક્ષક, ગાંધીનગર દ્વારા કરાશે
દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના નામ
અન્નાજી ઉર્ફે ભૈરવલાલ રતિલાલ જાટ (રહે. ગીતાવાસ, રાજસ્થાન)
મહમદ અનવર મહમદ શરીફખાન (રહે. ડાંગરી રાજૌરી, જમ્મુ-કાશ્મીર - રોપવે ઓપરેટર)
બળવંદસિંહ ધનીરામ (રહે. કલાલકાસ રાજૌરી, જમ્મુ-કાશ્મીર - રોપવે ઓપરેટર)
દિલિપસિંહ નવલસિંહ કોળી (મંદિર સિક્યુરિટી)
હિતેષભાઈ હસમુખભાઈ બારીયા (રહે. જૂની બોડેલી)
સુરેશભાઈ રાયજીભાઈ માળી (ફુલના વેપારી)





















