રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ સોમવારે જાહેરાત કરી છે કે તે બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા માટે ઓપન માર્કેટ ઓપરેશન્સ (OMO) અને ડોલર-રૂપિયાની ખરીદી/વેચાણ કરશે. જે અંતર્ગત 1 લાખ કરોડ રૂપિયાના સરકારી બોન્ડ ખરીદવામાં આવશે, જે બે તબક્કામાં પૂર્ણ થશે.
RBI રૂ. 50,000 કરોડની બે OMO હરાજી કરશે. પ્રથમ હરાજી 12 માર્ચે થશે અને બીજી 18 માર્ચ સુધીમાં પૂર્ણ થશે. આ ઉપરાંત, સેન્ટ્રલ બેંકે પણ $10 બિલિયનના ડોલર-રૂપિયાની ખરીદી/વેચાણ સ્વેપ કરવાનો નિર્ણય લીધો છે. તે 36 મહિનાના સમયગાળા માટે હશે અને 24 માર્ચે યોજાશે.
માર્કેટમાં લિક્વિડિટી વધારવાની જરૂર કેમ પડી?
હાલમાં બેંકિંગ સિસ્ટમમાં રોકડની અછત છે. 4 માર્ચ સુધીમાં સિસ્ટમમાં 20,416 કરોડ રૂપિયાની રોકડની અછત હતી. જેને દૂર કરવા માટે RBI વિવિધ માર્કેટ ઈન્ટરવેશન ટૂલ્સનો ઉપયોગ કરી રહી છે. જેમ કે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ વેરિયેબલ રેટ રેપો (VRR) હરાજી, ડૉલર-રૂપી ખરીદ/વેચાણ સ્વેપ અને ઓપન માર્કેટ ઑપરેશન્સ (OMO) ખરીદી.
અગાઉ પણ પગલાં લેવાયા હતા
આરબીઆઈએ તાજેતરમાં 28 ફેબ્રુઆરીના રોજ $10 બિલિયનની લાંબા ગાળાની ડોલર-રૂપી સ્વેપ પણ કરી હતી. વધુમાં, 16 જાન્યુઆરીથી દરરોજ VRR હરાજી હાથ ધરવામાં આવી રહી છે અને અન્ય ઘણી રેપો હરાજી પણ હાથ ધરવામાં આવી છે. SBI રિસર્ચ અનુસાર, માર્ચ મહિનામાં લિક્વિડીટી સ્થિતિમાં અમુક અંશે સુધારો થયો છે, પરંતુ નાણાકીય વર્ષના અંતે ટેક્સ ચૂકવણીને કારણે સમસ્યાઓ યથાવત રહી શકે છે.
આરબીઆઈની નજર બજારની સ્થિતિ પર
આરબીઆઈએ કહ્યું છે કે તે લિક્વિડિટી અને બજારની સ્થિતિ પર નજર રાખશે અને જરૂરિયાત મુજબ વધુ પગલાં લેશે. આગામી દિવસોમાં, RBI દરેક કામગીરી માટે અલગથી વિગતવાર સૂચનાઓ જારી કરશે.





















