બજેટમાં સરકારે નોકરિયાત વર્ગને મોટી ટેક્સ છૂટ આપ્યા બાદ હવે કેન્દ્રીય બેંકે મોટી જાહેરાત કરી છે. RBIએ પાંચ વર્ષ બાદ રેપોરેટમાં ઘટાડો કર્યો છે. આ વર્ષની પહેલી જ નાણાકીય નીતિની સમીક્ષા માટેની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. રેપોરેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારણે હવે રેપોરેટ 6.25 ટકા થઈ ગયો છે. આ પહેલા RBIએ વર્ષ 2020માં રેપોરેટ ઘટાડ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આ નિર્ણયનો સૌથી મોટો લાભ મિડલ ક્લાસને થવાનો છે. કારણ કે EMI ઓછા થશે.
તમને શું ફાયદો થશે?
જો તમે લોન ફ્લોટિંગ ઈન્ટરેટસ્ટ રેટ પર લીધી હશે તો તમને બે ઓપ્શન મળશે. તમે EMI ઓછો કરાવી શકો છો અથવા તો લોનનો સમયગાળો. જો તમે EMI ઓછો કરાવો છો તો, તમારે મહિને કેટલાક પૈસાની બચત થશે. અથવા તો ટેન્યોર ઓછો કરાવવાથી તમારી લોન વહેલી પુરી થશે. અને વ્યાજ પર બચત થશે. એટલે કે આ પગલાંથી તમને થોડી ઘણી રાહત તો મળશે જ.
રેપો રેટ એટલે શું?
રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર બેંકો RBI પાસેથી લોન લે છે. આનો અર્થ એ થયો કે રેપો રેટ ઘટાડવાથી બેંકો માટે લોન લેવાનું સરળ બનશે. આ સાથે, તેઓ તેમના ગ્રાહકોને ઓછા વ્યાજ દરે લોન પણ આપી શકે છે. લોન લેતા નવા ગ્રાહકોને આનો લાભ મળે છે. તેમનો EMI અથવા લોનનો સમયગાળો ઓછો થાય છે. તે જ સમયે, જો કોઈએ ફિક્સ્ડ અથવા ફ્લોટિંગ વ્યાજ દરે લોન લીધી હોય, તો તેનો EMI પણ ઓછો થશે.





















