Ram Mandir Donation Theft: અયોધ્યાના રામ મંદિરના ચઢાવાની ચોરીના મામલે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી સાથે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારને મોટો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, કેસની તપાસ નિષ્પક્ષ, પારદર્શક અને અસરકારક રીતે આગળ વધવી જોઈએ. આ માટે હાલની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નું પુનર્ગઠન કરીને નવા સિરેથી તપાસ ટીમ બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સાથે જ વરિષ્ઠ અને અનુભવી IPS અધિકારીને તપાસની કમાન સોંપવાની પણ ભલામણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આ કેસને કોઈપણ પ્રકારનો રાજકીય રંગ આપવો યોગ્ય નથી. અદાલતે ભારપૂર્વક કહ્યું કે કોર્ટનું કામ માત્ર એટલું સુનિશ્ચિત કરવાનું છે કે તપાસ યોગ્ય દિશામાં આગળ વધે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય. આગામી સુનાવણી દરમિયાન સરકારને નવા SIT પ્રમુખનું નામ પણ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.
નવી SIT બનાવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ
ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધીશોની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું કે તપાસને તાર્કિક અને નિર્ણાયક તબક્કા સુધી પહોંચાડવા માટે SITનું પુનર્ગઠન જરૂરી છે. અદાલતે સૂચન કર્યું કે તપાસ ટીમનું નેતૃત્વ કોઈ અનુભવી અને વરિષ્ઠ IPS અધિકારીને સોંપવામાં આવે, જેથી તપાસ વધુ અસરકારક રીતે આગળ વધી શકે. કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને ઉત્તર પ્રદેશ સરકાર સાથે ચર્ચા કરીને યોગ્ય અધિકારીનું નામ આગામી સુનાવણી દરમિયાન રજૂ કરવા જણાવ્યું છે. હવે આ મામલે આગામી સુનાવણી 27 જુલાઈએ હાથ ધરવામાં આવશે.
તપાસ નિષ્પક્ષ રીતે પૂર્ણ થવી જોઈએ
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, તપાસ કોઈપણ પ્રકારના પક્ષપાત અથવા દબાણ વગર થવી જોઈએ. અદાલતે કહ્યું કે આ એક સામાન્ય ફોજદારી ગુનાનો કેસ છે અને તેને રાજકીય મુદ્દો બનાવવો યોગ્ય નથી. ચીફ જસ્ટિસે જણાવ્યું કે, અદાલતો રાજકારણનું મંચ નથી. અમારી પ્રાથમિકતા માત્ર એટલી છે કે સમગ્ર તપાસ કાયદાકીય રીતે યોગ્ય રીતે પૂર્ણ થાય અને સત્ય બહાર આવે.
આ પણ વાંચો: ભારતમાં ડેન્ગ્યુ સામે મોટી જીત : પ્રથમ વેક્સીનને મંજૂરી, જાણો કોણ લઈ શકશે રસી અને કેટલી હશે કિંમત
સરકારે કોર્ટમાં રજૂ કર્યો સ્ટેટસ રિપોર્ટ
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે સરકાર દ્વારા આ કેસનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. તેમણે માહિતી આપી કે, હાલ તપાસ ચાલુ છે અને અત્યાર સુધી આ કેસમાં કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
તુષાર મહેતાએ દલીલ કરી કે તપાસ હજુ પ્રગતિમાં હોવાથી હાલમાં તમામ વિગતો જાહેર કરવી યોગ્ય રહેશે નહીં. આ દરમિયાન ચીફ જસ્ટિસે પૂછ્યું કે શું હાલની SIT જ ચઢાવા ચોરીના સમગ્ર કેસની તપાસ કરી રહી છે કે નહીં.
ત્રણ ન્યાયાધીશોની બેન્ચે કરી સુનાવણી
આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ત્રણ સભ્યોની બેન્ચ સમક્ષ થઈ હતી. સુનાવણી દરમિયાન તપાસની દિશા, અત્યાર સુધી થયેલી કાર્યવાહી અને આગળની તપાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અદાલતે સરકારને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તપાસ એવી રીતે થવી જોઈએ કે સમગ્ર ઘટનાક્રમ અંગે કોઈ શંકા ન રહે અને કાયદાકીય પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રહે.
આગામી સુનાવણી પર સૌની નજર
હવે આ કેસમાં આગામી સુનાવણી 27 જુલાઈએ યોજાશે. તે દિવસે ઉત્તર પ્રદેશ સરકારને નવા SIT પ્રમુખ તરીકે નિયુક્ત થનારા વરિષ્ઠ IPS અધિકારીનું નામ રજૂ કરવાની સાથે તપાસની પ્રગતિ અંગે પણ અહેવાલ રજૂ કરવાનો રહેશે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ હવે તપાસમાં વધુ ઝડપ આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ કેસમાં થયેલી ધરપકડો અને અત્યાર સુધી મળેલા પુરાવાના આધારે તપાસ વધુ મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશવાની સંભાવના છે.






