Home National Nsa Ajit Doval Lokmanya Tilak National Award 2026

NSA અજિત ડોભાલને મળશે 'લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર' : રાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાન બદલ થશે સન્માન

Ajit Doval, NSA, Lokmanya Tilak Award
Published by: OBS Bureau
Last Updated: Jul 20, 2026, 05:43 PM IST

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલને રાષ્ટ્રીય સુરક્ષા અને કૂટનીતિક ક્ષેત્રમાં તેમના અસાધારણ યોગદાન બદલ આ વર્ષનો પ્રતિષ્ઠિત 'લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર' એનાયત કરવામાં આવશે. તિલક સ્મારક ટ્રસ્ટ દ્વારા સોમવારે આ સન્માનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા અને અનેક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક કામગીરીમાં તેમની ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેમને આ સન્માન આપવામાં આવી રહ્યું છે.

1 ઓગસ્ટે પુણેમાં યોજાશે પુરસ્કાર સમારોહ

તિલક સ્મારક ટ્રસ્ટના અધ્યક્ષ ડૉ. રોહિત તિલકે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે 1 ઓગસ્ટે પુણેમાં યોજાનારા વિશેષ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અજિત ડોભાલને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર અર્પણ કરશે.

આ સમારોહ પુણેના ગુલટેકડી વિસ્તારમાં આવેલા મહારાષ્ટ્રીય મંડળ મેદાન ખાતે યોજાશે. કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે તેમજ સુનેત્રા પવાર સહિત અનેક મહાનુભાવોની હાજરી રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

રાષ્ટ્રીય સુરક્ષામાં નોંધપાત્ર યોગદાન

81 વર્ષીય અજિત ડોભાલ ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોમાં સામેલ છે. તેમના લાંબા કારકિર્દી દરમિયાન તેમણે દેશના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે.

મિઝોરમ, સિક્કિમ, પંજાબ અને જમ્મુ-કાશ્મીર જેવા સુરક્ષા દૃષ્ટિએ મહત્વપૂર્ણ વિસ્તારોમાં તેમણે અસરકારક કામગીરી કરી છે. ઉપરાંત ઇસ્લામાબાદ અને લંડનમાં આવેલા ભારતીય મિશનમાં પણ તેમણે કૂટનીતિક જવાબદારીઓ નિભાવી છે, જેના કારણે ભારતની સુરક્ષા અને વિદેશ નીતિ બંને ક્ષેત્રોમાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ડોકલામ વિવાદમાં પણ રહી મહત્વપૂર્ણ ભૂમિકા

અજિત ડોભાલ ભારત-ચીન સરહદી મુદ્દાઓ અંગે ભારતના વિશેષ પ્રતિનિધિ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. વર્ષ 2017 દરમિયાન ડોકલામ સરહદી વિવાદને ઉકેલવા માટે થયેલા કૂટનીતિક પ્રયાસોમાં તેમની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ ઉપરાંત આતંકવાદ વિરોધી કામગીરી, આંતરિક સુરક્ષા, વ્યૂહાત્મક આયોજન અને સંવેદનશીલ સુરક્ષા મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને માર્ગદર્શન આપવામાં પણ તેઓ લાંબા સમયથી સક્રિય રહ્યા છે.

શું છે લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર?

લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારની શરૂઆત વર્ષ 1983માં કરવામાં આવી હતી. આ પુરસ્કારનો હેતુ દેશના વિકાસ, રાષ્ટ્રીય સેવા અને સમાજ માટે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાનો છે.

આ પુરસ્કાર દર વર્ષે 1 ઓગસ્ટે મહાન સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય બાલ ગંગાધર તિલકની પુણ્યતિથિના અવસરે એનાયત કરવામાં આવે છે. સૌથી પ્રથમ આ સન્માન સમાજવાદી નેતા એસ. એમ. જોશીને આપવામાં આવ્યું હતું.

અગાઉ કોને મળી ચૂક્યો છે આ પુરસ્કાર?

લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર અગાઉ દેશની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓને આપવામાં આવી ચૂક્યો છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, મનમોહન સિંહ, પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તેમજ વરિષ્ઠ નેતા શરદ પવાર સહિત અનેક જાણીતા નામોનો સમાવેશ થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now