ભારતમાં દર વર્ષે લાખો લોકોને અસર કરતી ડેન્ગ્યુ જેવી ગંભીર બીમારી સામે હવે મહત્વપૂર્ણ હથિયાર મળી ગયું છે. કેન્દ્ર સરકારે જાપાનની ફાર્માસ્યુટિકલ કંપની Takeda Pharma દ્વારા વિકસિત QDENGA ડેન્ગ્યુની વેક્સીનને મંજૂરી આપી છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)ની મંજૂરી બાદ હવે આ વેક્સીન ભારતીય બજારમાં ઉપલબ્ધ બનશે. આરોગ્ય નિષ્ણાતોના મતે, આ વેક્સીન ડેન્ગ્યુના ગંભીર સંક્રમણ અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. ચોમાસા દરમિયાન મચ્છરોના પ્રકોપને કારણે અનેક રાજ્યોમાં ડેન્ગૂના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી જાય છે. આવી સ્થિતિમાં ડેન્ગ્યુ સામે અસરકારક વેક્સીન ઉપલબ્ધ થવી આરોગ્ય ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.
QDENGA વેક્સીન કેવી રીતે કામ કરે છે?
QDENGA એક ટેટ્રાવેલેન્ટ લાઈવ એટેન્યુએટેડ વેક્સીન છે. એટલે કે તે ડેન્ગ્યુ વાયરસના ચારેય સેરોટાઇપ (DENV-1, DENV-2, DENV-3 અને DENV-4) સામે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વિકસાવવામાં મદદ કરે છે. અત્યાર સુધી ડેન્ગ્યુ સામે સંપૂર્ણ સુરક્ષા આપતી વેક્સીન ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને માત્ર લક્ષણો અનુસાર સારવાર આપવામાં આવતી હતી.વેક્સીનને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) દ્વારા નિષ્ણાત સમિતિની ભલામણ બાદ મંજૂરી આપવામાં આવી છે. હવે દેશના વિવિધ હોસ્પિટલ અને રસીકરણ કેન્દ્રોમાં તે તબક્કાવાર ઉપલબ્ધ થશે.
કોણ લઈ શકશે આ વેક્સીન?
આ વેક્સીન 4 વર્ષથી 60 વર્ષ સુધીના લોકો માટે મંજૂર કરવામાં આવી છે.
આ વેક્સીનની ખાસિયત એ છે કે:
જેમને ક્યારેય ડેન્ગ્યુ થયો નથી તેઓ પણ વેક્સીન લઈ શકે છે.
જેમને અગાઉ ડેન્ગ્યુ થઈ ચૂક્યો છે તેઓ પણ આ રસી લઈ શકે છે.
વેક્સીન લેવા પહેલાં ડેન્ગ્યુ થયો હતો કે નહીં તેની તપાસ કરાવવી ફરજિયાત નથી.
આ બાબત તેને અન્ય કેટલીક ડેન્ગ્યુ વેક્સીનથી અલગ બનાવે છે.
બે ડોઝ લેવા પડશે
કોરોના વેક્સીનની જેમ QDENGA પણ બે ડોઝમાં આપવામાં આવશે.
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બંને ડોઝ પૂર્ણ થયા બાદ શરીરમાં વધુ અસરકારક રોગપ્રતિકારક શક્તિ વિકસે છે. જોકે વેક્સીન લીધા બાદ પણ ડેન્ગ્યુ થવાની શક્યતા સંપૂર્ણપણે નકારી શકાતી નથી, પરંતુ ગંભીર સંક્રમણ અને હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.
કેટલી હશે કિંમત?
પ્રાથમિક અંદાજ મુજબ QDENGA વેક્સીનના બંને ડોઝનો કુલ ખર્ચ આશરે ₹6,000થી ₹12,000 વચ્ચે હોઈ શકે છે. જોકે શરૂઆતમાં આયાત અને મર્યાદિત ઉપલબ્ધતાને કારણે કિંમત વધુ હોઈ શકે છે.
મહત્વની વાત એ છે કે હૈદરાબાદ સ્થિત એક કંપની હવે આ વેક્સીનનું ભારતમાં જ ઉત્પાદન કરશે. સ્થાનિક ઉત્પાદન શરૂ થયા બાદ મોટા પાયે ઉપલબ્ધતા વધશે અને ભાવમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ક્લિનિકલ ટ્રાયલમાં શું સામે આવ્યું?
ક્લિનિકલ અભ્યાસના આંકડા મુજબ આ વેક્સીન ડેન્ગ્યુ સામે નોંધપાત્ર અસરકારક સાબિત થઈ છે.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે:
ડેન્ગ્યુના સંક્રમણનું જોખમ અંદાજે 61થી 80 ટકા સુધી ઘટાડી શકે છે.
ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84થી 90 ટકા સુધી ઘટાડવામાં મદદરૂપ બને છે. તેનો અર્થ એવો નથી કે વેક્સીન લીધા પછી ડેન્ગ્યુ નહીં થાય, પરંતુ ગંભીર જટિલતાઓ અને જીવલેણ સ્થિતિનું જોખમ ઘણું ઓછું થઈ શકે છે.
ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે?
ભારત વિશ્વમાં ડેન્ગ્યુથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સામેલ છે. દર વર્ષે ચોમાસા દરમિયાન અનેક રાજ્યોમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળે છે.
વિશ્વના કુલ ડેન્ગ્યુ કેસોમાંથી લગભગ એક-તૃતીયાંશ કેસ ભારતમાંથી નોંધાય છે.
છેલ્લા બે દાયકામાં ભારતમાં ડેન્ગ્યુના કેસોમાં લગભગ 11 ગણો વધારો થયો છે.
વર્ષ 2025માં દેશમાં અંદાજે 1.13 લાખ ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેન્ગ્યુ સામે વેક્સીન ઉપલબ્ધ થવી જાહેર આરોગ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
વેક્સીન છતાં સાવચેતી જરૂરી
આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે વેક્સીન ડેન્ગ્યુ સામેનું એક મહત્વપૂર્ણ રક્ષણ છે, પરંતુ માત્ર તેના પર આધાર રાખવો યોગ્ય નથી. મચ્છરજન્ય રોગોને રોકવા માટે આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી, સંપૂર્ણ બાંયના કપડાં પહેરવા, મચ્છરદાની અને રિપેલન્ટનો ઉપયોગ કરવો તેમજ તાવ, શરીરમાં દુખાવો, આંખોની પાછળ દુખાવો અથવા પ્લેટલેટ ઘટવા જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવી જરૂરી છે.
ભારતમાં QDENGA વેક્સીનને મળેલી મંજૂરીને ડેન્ગ્યુ સામેની લડતમાં એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં વેક્સીનની ઉપલબ્ધતા, કિંમત અને સરકારની રસીકરણ નીતિ અંગે વધુ વિગતો જાહેર થયા બાદ કરોડો લોકો માટે આ રસી એક મહત્વપૂર્ણ સુરક્ષા કવચ બની શકે છે.






