Poonch Landslide: જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદનો દોર ચાલુ છે. આ દરમિયાન સોમવારે (20 એપ્રિલ) પુંછ જિલ્લાના લોરાન-ડુમિલાન વિસ્તારમાં ભારે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ)માં સાત લોકોના મોત થયા છે. બીજી તરફ, અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કેટલાક લોકો ગુમ થયા હોવાની આશંકા છે, જેને જોતાં રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે.
વાસ્તવમાં, આ ભૂસ્ખલન એવા સમયે થયું છે જ્યારે તેના એક દિવસ પહેલા જ રાજૌરી સહિતના અનેક સ્થળોએ વાદળ ફાટવાને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. એ ઘટનામાં પણ અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા અને રાહત તથા બચાવ કાર્ય હજુ ચાલુ છે. તે ઘટનામાં મોટા પ્રમાણમાં ઘરોને નુકસાન પહોંચ્યું હતું.
'મહિલાના વાળ ખેંચવા અને બાળકી પર બળપ્રયોગની વાત અફવા' : CJP ના આરોપો પર દિલ્હી પોલીસની સ્પષ્ટતા
પુંછમાં ભૂસ્ખલનથી સાત લોકોના મોત
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોમવારે પુંછમાં થયેલા ભૂસ્ખલનથી મોટી સંખ્યામાં ઘરો પ્રભાવિત થયા છે. આ ઘટનામાં સાત લોકોના જીવ ગયા છે. આ સાથે જ, ગુમ થયેલા લોકોની શોધખોળ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનના જોખમને ધ્યાનમાં રાખીને મસ્જિદોમાંથી લોકોને સતર્ક રહેવાની જાહેરાતો કરવામાં આવી છે. બીજી તરફ, પોલીસ, સિવિલ પ્રશાસન, SDRF અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. અહેવાલો અનુસાર, અધિકારીઓ હાલ નુકસાનનું આકલન (મૂલ્યાંકન) કરી રહ્યા છે.
રવિવારે વરસાદે મચાવી તબાહી
રવિવારે જમ્મુ ડિવિઝનના પુંછ અને રાજૌરી સહિતના અનેક વિસ્તારોમાં સતત થઈ રહેલા ભારે વરસાદના કારણે પૂર આવ્યું હતું, જેનાથી ભારે નુકસાન થયું હતું. ઘરો, જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પશુધન અને કૃષિ ભૂમિને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું. જણાવી દઈએ કે આ કુદરતી આપત્તિમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હતા અને 10 લોકો ગુમ થયા હતા.






