Ram Mandir Donation Scam: અયોધ્યામાં રામ મંદિર દાન કૌભાંડની તપાસ દરમિયાન આરોપીઓની ઓળખના આધારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના નામે છપાયેલી જૂની નકલી રસીદ બુક મળી આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ ચોરી કરવાની સાથે-સાથે શ્રદ્ધાળુઓને નકલી રસીદ આપીને તેમની પાસેથી દાન પણ ઉઘરાવતા હતા. આ તપાસ બાદ ટ્રસ્ટે સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે બદલી નાખી છે. બેંક ખાતાઓના સંચાલન માટે નવી સંયુક્ત હસ્તાક્ષર (જોઈન્ટ સિગ્નેચર) વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે, તેમજ ગણતરીના સ્થળે વધારાના સીસીટીવી કેમેરા અને સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
બીજી તરફ, ટ્રસ્ટના ભૂતપૂર્વ આમંત્રિત સભ્ય ગોપાલ રાવ સાથે જોડાયેલા પાસાઓની તપાસ પણ તેજ થઈ ગઈ છે. આ બધાની વચ્ચે ગોપાલ ગિરીએ આજે ચંપત રાય સાથે પણ મુલાકાત કરી હતી. એસઆઈટી (SIT) ને લખેલા પત્ર બાદ ચંપત રાય અને ગોપાલ ગિરીની આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. નકલી રસીદ દ્વારા દાન ઉઘરાવવાના ખુલાસાએ તપાસને નવો વળાંક આપ્યો છે અને હવે તપાસનો વ્યાપ સતત વધી રહ્યો છે.
ભાજપ અને RSSનું મોટું ડેમેજ કંટ્રોલ અભિયાન
રામ મંદિર દાન વિવાદ પર ભાજપ (BJP) અને આરએસએસ (RSS) હવે ડેમેજ કંટ્રોલ મોડમાં આવી ગયા છે. યુપી ચૂંટણી અને સંસદના ચોમાસુ સત્ર પહેલા બંને સંગઠનો મોટું જનસંપર્ક અભિયાન શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. જેનો મુખ્ય હેતુ વિપક્ષના આરોપોનો જવાબ આપવાનો અને શ્રદ્ધાળુઓનો ભરોસો ફરી મજબૂત કરવાનો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશમાં કાર્યકર્તાઓને લોકો વચ્ચે જઈને એવો સંદેશ આપવા માટે કહેવામાં આવશે કે સરકારે આ બાબતે તાત્કાલિક એસઆઈટી (SIT) તપાસ શરૂ કરાવી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરી છે. પાર્ટીનું માનવું છે કે વિપક્ષ આ મુદ્દાને યુપી ચૂંટણીમાં મોટું હથિયાર બનાવવા માંગે છે.
RSS પણ આની સમાંતર એક જનસંપર્ક અભિયાન ચલાવવાની તૈયારીમાં છે. સ્વયંસેવકો મોટા દાનવીરોનો સંપર્ક કરશે અને જરૂર પડ્યે તેમને મંદિરમાં સુરક્ષિત રાખવામાં આવેલા દાનની વિગતો પણ આપશે. ભાજપ અધ્યક્ષ નીતિન નવીને પણ નેતાઓને એકજૂથ રહેવા અને વિવાદ પર અંદરોઅંદર નિવેદનબાજી કરવાથી બચવાની સલાહ આપી છે. વિપક્ષના સતત હુમલાઓ વચ્ચે ભાજપ અને RSSનું પૂરું ધ્યાન શ્રદ્ધાળુઓનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા અને આ મુદ્દે થનારા રાજકીય નુકસાનને રોકવા પર કેન્દ્રિત છે.





