રાજ્યની રાજનીતિમાં એક મહત્ત્વપૂર્ણ વળાંક આવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)ના ખેડૂત સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. જેમાં AAP નેતા દ્વારા આક્ષેપો પણ કરાયા કે ભાજપના દબાણથી આ રાજુનામું આપ્યું છે. જો કે, બીજી તરફ તેમના આ અચાનક નિર્ણય પાછળ આંતરિક મતભેદો અને સંગઠનાત્મક મુદ્દાઓ જવાબદાર હોવાની ચર્ચા ચાલી રહી છે.
જેલવાસ દરમિયાન AAPએ 'રાજુ ને રાજી' ના રાખ્યા!
રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજુ કરપડા ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી અને ચૈતર વસાવાથી નારાજ હતા. કહેવાય છે કે તેઓ 108 દિવસ, એટલે કે સાડાત્રણ મહિના સુધી જેલમાં રહ્યા હતા, પરંતુ તે દરમિયાન પાર્ટીના ટોચના નેતાઓએ તેમની ખાસ કાળજી લીધી નહોતી કે મુલાકાત પણ લીધી નહોતી. જ્યારે ગોપાલ ઈટાલિયા વિસાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે રાજુ કરપડાએ દોઢ મહિના સુધી મેદાનમાં રહી ભારે મહેનત કરી હતી. છતાં કપરા સમયમાં તેમને પૂરતું સમર્થન ન મળતા તેમણે અંતે રાજીનામું આપવાનો નિર્ણય લીધો હોવાની ચર્ચા છે.
ગોપાલ ઈટાલિયા અને રાજુ કરપડા વચ્ચે ‘ઇગો ક્લેશ'!
આ ઉપરાંત ગોપાલ ઈટાલિયા અને રાજુ કરપડા વચ્ચે લાંબા સમયથી ‘ઇગો ક્લેશ’ ચાલતો હોવાની પણ ચર્ચા રાજકીય વર્તુળોમાં છે.
રાજુ કરપડા ખૂબ નજીકના સમયમાં કોંગ્રેસ સાથે જોડાશે!
કેટલાક સૂત્રો મુજબ, રાજુ કરપડા ખૂબ નજીકના સમયમાં કોંગ્રેસ સાથે જોડાઈ શકે છે. કોંગ્રેસના કિસાન નેતા પાલ આંબલિયા તેમના નજીકના મિત્ર માનવામાં આવે છે.
AAPના કેટલાક નેતાઓ પોતાની છબી ચમકાવવામાં વ્યસ્ત રહ્યા અને...
આક્ષેપો પણ થઈ રહ્યા છે કે AAPના કેટલાક નેતાઓ પોતાની છબી ચમકાવવામાં વ્યસ્ત રહ્યા, પરંતુ 108 દિવસના જેલવાસ દરમિયાન પોતાના જ કાર્યકરની યોગ્ય દરકાર લીધી નહોતી. જેને પાર્ટીને પરિવાર કરતા વિશેષ માન્યો, તે જ નેતાઓએ મુશ્કેલીના સમયમાં હાથ ઊંચા કરી દીધા હોવાની ચર્ચા છે.
સૌરાષ્ટ્રમાં AAPના સાવરણાંની સળીયો વિખરાશે પંજો બનશે મજબૂત!
રાજુ કરપડાના રાજીનામાથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં AAPની પકડ નબળી પડી શકે છે, તેવી રાજકીય વિશ્લેષકોની ધારણા છે. હવે જોવાનું રહ્યું કે રાજુ કરપડાની રાજકીય કારકિર્દીનો આગળનો પડાવ ખરેખર કોંગ્રેસ બનશે કે નહીં. ચર્ચા એવી પણ છે કે, પ્રવિણ રામ પણ AAP છોડે અને રાજુ કરપડાનો હાથ પકડે તો નવાઈ નહીંં




















