Pakistan Terrorism: રક્ષામંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતા કહ્યું છે કે, ભારત હવે એવા કોઈ પણ દેશ પ્રત્યે નરમ વલણ નહીં અપનાવે જે આતંકવાદી ગતિવિધિઓને સમર્થન આપતો હોય. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર એ સુનિશ્ચિત કરશે કે સિંધુ નદીનું પાણી એવા લોકો સુધી ન પહોંચે જેઓ આતંકવાદને સંરક્ષણ આપવાનું કામ કરે છે.
હૈદરાબાદમાં ભાજપના તેલંગાણા એકમ દ્વારા આયોજિત ‘ઇન્ટેલેક્ચ્યુઅલ મીટ’ કાર્યક્રમને સંબોધતા રક્ષામંત્રીએ કહ્યું કે, ભારતે તાજેતરના દિવસોમાં પોતાની નીતિ અને દાનત બંને દુનિયા સામે સ્પષ્ટ કરી દીધી છે. તેમણે ઉમેર્યું કે, ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા દેશે એ સંદેશ આપ્યો છે કે શાંતિ અને સૌહાર્દની ભાવનાનું સન્માન કરનારાઓ સાથે ભારત હંમેશા ઊભું છે, પરંતુ જે લોકો હિંસા અને આતંકનો રસ્તો પસંદ કરે છે, તેમને તે જ ભાષામાં જવાબ આપતા પણ ભારત જાણે છે.
‘આતંકવાદ પર હવે કોઈ સમજૂતી નહીં’
રાજનાથ સિંહે કહ્યું કે કેન્દ્ર સરકાર અગાઉ જ સ્પષ્ટ કરી ચૂકી છે કે ભારત વિરુદ્ધ કોઈપણ આતંકી હુમલાની કિંમત ચૂકવવી પડશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આતંકવાદ અને સામાન્ય સંબંધો એકસાથે ચાલી શકે નહીં. સરકારની પ્રાથમિકતા દેશની સુરક્ષા છે અને આ બાબતમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં.
વિપક્ષ પર પણ સાધ્યું નિશાન
પોતાના સંબોધન દરમિયાન રક્ષામંત્રીએ કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે દેશના સૈનિકો સરહદ પર સાહસ અને પરાક્રમનો પરિચય આપી રહ્યા હતા, ત્યારે કેટલાક રાજકીય પક્ષો અને તેમના નેતાઓ સેનાની કાર્યવાહી તથા ‘ઓપરેશન સિંદૂર’ પર સવાલો ઉઠાવી રહ્યા હતા. તેમણે ઉમેર્યું કે આવા સમયે સમગ્ર દેશે એકજૂથ થઈને સુરક્ષા દળોનું મનોબળ વધારવું જોઈએ.
સૈનિકોના શૌર્યની પ્રશંસા
રક્ષામંત્રીએ ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરીના વખાણ કરતા કહ્યું કે જવાનોએ દરેક પડકારનો મક્કમતાથી સામનો કર્યો છે અને દેશની રક્ષા માટે હંમેશા તત્પર રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પર સરકારની નીતિ સંપૂર્ણપણે સ્પષ્ટ છે અને રાષ્ટ્રીય હિત જ સર્વોપરી રહેશે.






