Home National Tmc Rebel Mps Ncpi Merger Om Birla Seeks Response From Mamata Group

TMCના 20 બળવાખોર સાંસદોના મામલે હવે સ્પીકર લેશે નિર્ણય : મમતા જૂથને પક્ષ રજૂ કરવા આપ્યું આમંત્રણ

TMC rebel MPs NCPI merger
Image Credit: ai
Published by: Nirali Gohil
Last Updated: Jun 16, 2026, 11:26 AM IST

TMC rebel MPs NCPI merger: પશ્ચિમ બંગાળની સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં ઉભા થયેલા રાજકીય સંકટે હવે રાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. પક્ષના 20 જેટલા બળવાખોર સાંસદોએ અજાણ્યા રાજકીય પક્ષ ‘નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા’ (NCPI) સાથે વિલય કરવાની જાહેરાત કરતાં રાજકીય માહોલ ગરમાયો છે. આ સમગ્ર મામલે હવે લોકસભા સ્પીકર ઓમ બિરલાની ભૂમિકા મહત્વપૂર્ણ બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્પીકર ઓમ બિરલાએ આ મુદ્દે કોઈ અંતિમ નિર્ણય લેતા પહેલાં મમતા બેનરજીના નેતૃત્વ હેઠળના મૂળ TMC જૂથનો અભિપ્રાય માંગ્યો છે. સ્પીકરની ઓફિસ દ્વારા સત્તાવાર રીતે TMC નેતૃત્વને ઈમેલ મોકલી તેમનો પક્ષ રજૂ કરવા આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

વિલય મુદ્દે બંધારણીય અને કાયદાકીય ચર્ચા તેજ

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ચૂંટણી પંચના પૂર્વ અધિકારીઓ અને બંધારણીય નિષ્ણાતોએ પણ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. તેમના મતે, હાલના પક્ષપલટા વિરોધી કાયદા અને લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં સાંસદોના આવા પ્રકારના વિલય અંગે સ્પષ્ટ જોગવાઈઓ ઉપલબ્ધ નથી. લોકસભાના પૂર્વ સેક્રેટરી જનરલ પીડીટી આચાર્યએ સ્પષ્ટ કર્યું છે કે બંધારણની 10મી અનુસૂચિ મુજબ કોઈ રાજકીય પક્ષનું બીજા પક્ષમાં વિલય થઈ શકે છે, પરંતુ માત્ર સાંસદો અથવા ધારાસભ્યો પોતાની રીતે કોઈ નવા પક્ષ સાથે ભળી શકતા નથી. જો મૂળ રાજકીય પક્ષના નેતૃત્વ દ્વારા વિલયનો નિર્ણય લેવામાં આવે તો જ તે કાયદેસર ગણાય

આ પણ વાંચો: અયોધ્યા રામ મંદિર ચઢાવા વિવાદે રાજકીય રંગ પકડ્યો: અખિલેશ યાદવનો યોગી સરકાર પર પ્રહાર

સ્પીકર ઓમ બિરલા બંને પક્ષોને સાંભળશે

માહિતી અનુસાર, બળવાખોર સાંસદો દ્વારા અલગ જૂથ તરીકે માન્યતા મેળવવાની માંગ કરવામાં આવી છે. આ માંગણી પર નિર્ણય લેતા પહેલાં સ્પીકર ઓમ બિરલા બળવાખોર જૂથ અને મૂળ TMC નેતૃત્વ બંનેની દલીલો સાંભળશે. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે, આ નિર્ણય માત્ર TMC માટે જ નહીં પરંતુ ભવિષ્યમાં અન્ય રાજકીય પક્ષો માટે પણ એક મહત્વપૂર્ણ દાખલો બની શકે છે.

કાયદા મંત્રાલયની સલાહ બાદ થશે અંતિમ નિર્ણય

સંસદના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલો કાયદાકીય રીતે જટિલ હોવાથી સ્પીકર કાયદા મંત્રાલયનો અભિપ્રાય પણ લેશે. વરિષ્ઠ કાનૂની અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ મંત્રાલય લેખિત રિપોર્ટ રજૂ કરશે. આ પગલું એટલા માટે લેવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં જો સ્પીકરના નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવે તો તે કાયદાકીય ચકાસણીમાં ટકી શકે. માનવામાં આવે છે કે જુલાઈમાં શરૂ થનારા સંસદના ચોમાસુ સત્ર પહેલાં આ મુદ્દે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.

આ પણ વાંચો: નીતીશ-નાયડુને પાછળ છોડી આ નવી પાર્ટી બની શકે નંબર-2: કેન્દ્રમાં મંત્રીપદની અટકળોથી રાજકારણ ગરમાયું

NCPIને NDAનો ટેકો, રાજકીય સમીકરણો બદલાવાની શક્યતા

TMCના બળવાખોર સાંસદોએ NCPI સાથે વિલયની જાહેરાત કર્યા બાદ રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારોની ચર્ચા શરૂ થઈ છે. બળવાખોર સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે દાવો કર્યો છે કે TMCના બે તૃતીયાંશ એટલે કે 20 સાંસદોએ આ પગલાને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, NCPIમાં ભળ્યા બાદ તેઓ કેન્દ્રની NDA સરકારને સમર્થન આપશે. જો આ દાવો સત્તાવાર રીતે માન્ય ઠરે તો સંસદમાં સત્તાધારી ગઠબંધનની સ્થિતિ વધુ મજબૂત બની શકે છે.

NCPI કોણ છે?

ઉલ્લેખનીય છે કે ‘નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા’ (NCPI)નું નામ અત્યાર સુધી રાષ્ટ્રીય રાજકારણમાં ખાસ ચર્ચામાં રહ્યું નથી. ચૂંટણી પંચના રેકોર્ડ અનુસાર પક્ષની નોંધણી જાન્યુઆરી 2023માં કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના શંકરાઈલ વિસ્તારમાં પક્ષનું સત્તાવાર સરનામું નોંધાયેલું છે. જોકે અત્યાર સુધી પક્ષની કોઈ મોટી રાજકીય હાજરી અથવા ચૂંટણી સફળતા નોંધાઈ નથી.

TMC માટે વધતી રાજકીય મુશ્કેલીઓ

બળવાખોર સાંસદોના આ પગલાએ મમતા બેનર્જી માટે નવી રાજકીય પડકારો ઊભા કર્યા છે. આગામી દિવસોમાં સ્પીકરનો નિર્ણય, કાયદાકીય અભિપ્રાય અને બંને પક્ષોની દલીલો બાદ આ સમગ્ર મામલો કઈ દિશામાં આગળ વધે છે તેના પર દેશની રાજકીય નજર ટકેલી રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now