રાજકુમાર જાટ હત્યા કેસને લઈ ફરી એકવાર તપાસનો માહોલ ગરમાયો છે. હવે આ આખીએ તપા સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુને સોંપાઇ છે. ધાંગધ્રા Dysp જે.ડી.પુરોહિત મદદનીશ અધિકારી, તપાસના તમામ કાગળિયા અને CCTV નવી તપાસ ટીમને સોંપાશે. અત્રે જણાવીએ કે, રાજકોટના 24 વર્ષીય રાજકુમાર જાટના અકસ્માત મૃત્યુનો ગુનો કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. યુવકના પરિવારનું માનવું છે કે, તેનું અકસ્માતે મૃત્યુ નહીં, પરંતુ હત્યા થઈ છે. જે હત્યાનો આરોપ જયરાજસિંહ અને તેમનો પુત્ર ગણેશ ગોંડલ પર છે.
સરકારી વકીલે SP સુરેન્દ્રનગર પ્રેમસુખ ડેલુનું નામ મુક્યું હતું
હાઇકોર્ટના છેલ્લા હુકમ મુજબ કેસની તપાસ રાજકોટ જિલ્લા બહારના અધિકારીને સોંપવા સંદર્ભે સરકારી વકીલે SP સુરેન્દ્રનગર પ્રેમસુખ ડેલુ અને Dysp જે.ડી.પુરોહિતનું નામ હાઇકોર્ટ સમક્ષ આપ્યું હતું. Dysp જાતે આ કેસમાં હવે સ્ટેટમેન્ટ રેકોર્ડ કરશે. અરજદારે જણાવ્યું હતું કે મૃતક ગાયબ થયા પહેલા જયરાજસિંહના બંગલે તેને માર માર્યો હતો, બાદમાં તેની ડેડબોડી મળી હતી, તેના આકસ્મિક મૃત્યુ થયાની ફરિયાદ નોધાઇ હતી. 0
કોર્ટનો પ્રથમદર્શી અભિપ્રાય
અરજદારનું માનવું છે કે, આ કેસમાં રાજકોટ પોલીસ દ્વારા પક્ષપાતી તપાસ કરવામાં આવી છે. કોર્ટનો પ્રથમદર્શી અભિપ્રાય છે કે તપાસ બીજાને આપવી જરૂરી છે. રાજ્યને પણ બીજા કોઈને તપાસ આપવા માટે વાંધો નથી. ત્યારે સુરેન્દ્રનગર SP, IPS પ્રેમસુખ ડેલુને સોંપાઈ છે. જે.ડી.પુરોહિત, Dysp ધાંગધ્રા તેમને મદદ કરશે અને એક નવી તપાસ ટીમ તેઓ બનાવી શકશે.
મૃતકના પિતા 30 વર્ષથી રાજકોટમાં રહે છે
હાઇકોર્ટમાં થયેલી અરજીમાં જણાવ્યા મુજબ મૃતકના પિતા છેલ્લા 30 વર્ષથી રાજકોટના ગોંડલમાં રહે છે. તેઓ ભાજીપાવની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમનો પુત્ર એન્જિનિયર હતો, ભણવામાં હોશિયાર હોવાથી તે UPSC ની તૈયારી કરતો હતો. એક વખત પિતા પુત્ર બાઈક ઉપર પરત આવી રહ્યા હતા ત્યારે પુત્રને ઝડપી બાઇક ચલાવવા મામલે પિતાએ ટોક્યો હતો. પુત્રએ જે જગ્યાએ બાઈક ઊભું રાખ્યું હતું તે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહનું ઘર હતું. તેમના ઘરમાં ગણેશ ગોંડલ અને તેના માણસોએ પિતા પુત્ર સાથે મારપીટ કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.






