રાજકોટ શહેરમાં હત્યા જાણે કે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. માત્ર 12 કલાકના સમયગાળામાં શહેરમાં હત્યાની આ બીજી ઘટના નોંધાઈ છે. રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. દિવસેને દિવસે અહીં ખાખીનો ખૌફ ઉતરી રહ્યો છે. નાની નાની વાતમાં તલવાર, ધોકા ખેંચી લેવા કે છરીના ઘા મારવા મોટી વાત રહી નથી. ત્યારે રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી નજીક લાલપરી મફતિયા પરામાં રહેતા 35 વર્ષીય અજય કાનજી ચારોલા નામના યુવાનની ગઈકાલે છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાંચના એસપી ભરત બસિયાએ જણાવ્યા પ્રમાણે અજય ચારોલા એસિડની રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના પરિવારમાં પત્ની કિરણ અને ત્રણ બાળકો છે જેમાં 2 દીકરી અને 1 દીકરો છે. ગઈકાલ તે ચા પીવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જોકે, થોડા સમય બાદ એક વ્યક્તિએ તેના ઘરે આવીને અજયને છ'રી મારી દેવામાં આવી હોવાની જાણ કરી હતી. શહેરમાં એક જ દિવસમાં બે હત્યાની ઘટનાઓથી લોકોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે.





















