Rajkot News: રાજકોટના કંસારા બજારમાં આવેલી એક દુકાનમાં રાત્રિના સમયે થયેલી ચોરીના ગુનાનો પોલીસે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં 3 કિશોરોનો પણ સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલો કુલ ₹4.79 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ દુકાનમાંથી અંદાજે ₹1.52 લાખની રોકડ રકમ ઉપરાંત ચાંદી અને તાંબાના વાસણોની ચોરી કરી હતી. ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય તપાસના આધારે ગેંગ સુધી પહોંચી તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
મુખ્ય આરોપી અગાઉ પણ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો
તપાસ દરમિયાન મુખ્ય આરોપી અર્જુન ઉર્ફે ગોધરો અને તેના સાથીદારો અગાઉ પણ ચોરીની અનેક ઘટનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને અન્ય ગુનાઓમાં તેમની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે.
પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ પૂછપરછ માટે કોર્ટ સમક્ષ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે આશા વ્યક્ત કરી છે કે પૂછપરછ દરમિયાન અન્ય ચોરીના ગુનાઓનો પણ ભેદ ઉકેલાઈ શકે છે.






