રાજકોટ શહેરની ભાગોળે આવેલા સરધાર ગામમાં એક ખેડૂતના રહસ્યમય મોતે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે હરિભાઈ રાજાભાઈ જાદવ (ઉં. 50)ને તેમના જ કેટલાક મિત્રોએ લાંબા સમયથી બ્લેકમેઈલ કરીને માનસિક રીતે ત્રાસ આપ્યો હતો. પરિવારના દાવા મુજબ, કથિત રીતે વાંધાજનક વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી સતત પૈસાની માંગણી કરવામાં આવતી હતી. આ અસહ્ય ત્રાસથી કંટાળીને હરિભાઈએ આપઘાત કર્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મહત્વપૂર્ણ બાબત એ છે કે ઘટનાસ્થળેથી મળેલી કથિત સ્યુસાઇડ નોટમાં પણ કેટલાક વ્યક્તિઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, આ તમામ આક્ષેપોની સત્યતા અંગે પોલીસ દ્વારા હજુ તપાસ ચાલી રહી છે અને કોઈ અંતિમ નિષ્કર્ષ જાહેર કરવામાં આવ્યો નથી.
વાડીએ ગયેલા ખેડૂત ઘરે પરત ન ફરતા પરિવાર ચિંતિત બન્યો
મળતી માહિતી મુજબ હરિભાઈ જાદવ બાળપર ગામે આવેલી પોતાની વાડીએ ગયા હતા. મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા તેમના પુત્રો મયુર અને શૈલેષ તેમને શોધવા માટે વાડી પર પહોંચ્યા હતા. ત્યાં હરિભાઈ બેભાન હાલતમાં મળી આવ્યા હતા.
પરિવારજનોએ તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. શરૂઆતથી જ મૃત્યુને લઈને અનેક સવાલો ઉભા થતા પોલીસે ફોરેન્સિક તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો: ગુજરાત સરકારનો મોટો નિર્ણય : કાગળ મોંઘા છતાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં
પરિવારના ગંભીર આક્ષેપોથી કેસમાં નવો વળાંક
મૃતકના પુત્ર મયુર જાદવે પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે હરિપર ગામના રવજી ગોબર સોઢા અને બાળપર ગામના નરેશ લાખા સોઢા સહિત કેટલાક લોકો લાંબા સમયથી તેમના પિતાને હેરાન કરતા હતા.
પરિવારના દાવા મુજબ આરોપીઓએ હરિભાઈને ડરાવી-ધમકાવીને તેમના વાંધાજનક વીડિયો અને ફોટોગ્રાફ્સ તૈયાર કર્યા હતા. બાદમાં આ સામગ્રી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી તેમની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા. પરિવારનો આક્ષેપ છે કે અગાઉ પણ હજારો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી અને ત્યારબાદ વધુ નાણાં માટે સતત દબાણ કરવામાં આવતું હતું.
સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારા દાવા
કેસમાં સૌથી ચર્ચાસ્પદ મુદ્દો કથિત સ્યુસાઇડ નોટ બની છે. પરિવાર અને પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, નોટમાં મૃતકે કેટલાક લોકોના નામનો ઉલ્લેખ કરીને પોતાને લાંબા સમયથી હેરાન કરવામાં આવતા હોવાનો દાવો કર્યો છે.
નોટમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે કે આરોપીઓએ તેમણે કુતરાઓ સાથે કુદરત વિરુદ્ધનું કૃત્ય કરાવવા દબાણ કર્યું હતું અને તેનો વીડિયો બનાવી બ્લેકમેઈલિંગ શરૂ કર્યું હતું. જોકે, આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ હજુ સુધી થઈ નથી અને પોલીસ દ્વારા તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: વડોદરાનાં ચંદ્રપ્રભા નગરમાં 15 દિવસથી પાણી માટે વલખાં મારે છે લોકો : કોંગ્રેસ કાઉન્સિલર પોતે ટેન્કર લઈને પહોંચ્યા
‘વાડી વેચીને પણ પૈસા આપી દઈએ’ - પરિવારનો દાવો
મૃતકના પુત્રના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી હરિભાઈ ભારે માનસિક દબાણ હેઠળ હતા. પરિવારનો દાવો છે કે સતત મળતી ધમકીઓ અને બદનામીના ડરથી તેઓ એટલા પરેશાન થઈ ગયા હતા કે એક તબક્કે તેમણે પોતાની વાડી વેચીને પણ આરોપીઓને પૈસા ચૂકવી દેવાની વાત પરિવાર સમક્ષ કરી હતી.
પરિવારના કહેવા મુજબ ઘટનાના દિવસે પણ કથિત રીતે ફોન કરીને હરિભાઈને વાડીએ બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ જીવતા ઘરે પરત ફર્યા નહોતા.
ત્રણ મહિના પહેલા પણ ઉઠ્યા હતા સવાલ
પરિવારજનોના જણાવ્યા અનુસાર લગભગ ત્રણ મહિના પહેલા હરિભાઈએ પોતાની સાથે થતી હેરાનગતિ અંગે પરિવારને જાણ કરી હતી. જોકે તે સમયે પરિવાર આ વાતોને ગંભીરતાથી લઈ શક્યો નહોતો.
બાદમાં પરિવારજનોએ સંબંધિત લોકો સાથે વાતચીત પણ કરી હતી, પરંતુ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી નકારી કાઢવામાં આવ્યા હતા. હવે હરિભાઈના મોત અને કથિત સ્યુસાઇડ નોટ સામે આવ્યા બાદ તે તમામ મુદ્દાઓ ફરી ચર્ચામાં આવ્યા છે.
આ પણ વાંચો: PM મોદીએ જેનું નિરિક્ષણ કર્યું કેમ ઘાતક ગણાય છે એ 'જોરાવર' ટેન્ક? : કોના નામ પરથી પડ્યું ટેન્કનું નામ? જાણો ભારતના ખતરનાક સ્વદેશી હથિયારની ખાસિયતો
આપઘાત કે હત્યા? પોલીસ તમામ દિશામાં તપાસમાં
આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ હાલ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
તપાસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલ આપઘાત માટે દુષ્પ્રેરણા, ખંડણી, બ્લેકમેઈલિંગ, ધમકી તેમજ અન્ય સંભવિત ગુનાહિત પાસાઓની તપાસ ચાલી રહી છે. સાથે જ મૃત્યુ પાછળ કોઈ કાવતરું અથવા હત્યાની સંભાવના છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
હાલ કેસમાં પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને કથિત સ્યુસાઇડ નોટ તપાસના કેન્દ્રમાં છે. પોલીસ પુરાવા, કોલ ડિટેઇલ્સ, મોબાઈલ ડેટા અને ફોરેન્સિક રિપોર્ટના આધારે આગામી કાર્યવાહી કરશે.





