Home Education/Career Gujarat Textbooks No Price Hike Despite Paper Cost Rise

ગુજરાત સરકારનો મોટો નિર્ણય : કાગળ મોંઘા છતાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Jun 05, 2026, 12:11 PM IST

વૈશ્વિક સ્તરે કાચા માલના ભાવમાં વધારો, પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૂરાજકીય તણાવ અને પરિવહન ખર્ચમાં થયેલા ઉછાળાની સીધી અસર અનેક ક્ષેત્રો પર જોવા મળી રહી છે. કાગળ ઉદ્યોગ પણ તેમાંથી બાકાત રહ્યો નથી. પાઠ્યપુસ્તકો અને નોટબુકના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા કાગળના ભાવમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતને ધ્યાનમાં રાખીને રાજ્યના પાઠ્યપુસ્તકોના ભાવમાં કોઈ વધારો નહીં કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના કાર્યવાહક ચેરમેન મનુ પાવરાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાગળ સહિતના રો-મટિરિયલના ભાવમાં વધારો થયો છે. સાથે સાથે ઈંધણના ખર્ચમાં થયેલા વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ ખર્ચ પણ વધી ગયો છે. સામાન્ય સંજોગોમાં આ વધારાની અસર પાઠ્યપુસ્તકોની કિંમત પર જોવા મળતી, પરંતુ રાજ્ય સરકારે આર્થિક ભાર વાલીઓ પર ન પડે તે માટે હાલના શૈક્ષણિક વર્ષમાં પુસ્તકોના ભાવ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત નજીક આવી રહી છે. 8 જૂનથી રાજ્યની શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ ફરી શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ થવાની છે. આ દરમિયાન વાલીઓ બાળકો માટે પાઠ્યપુસ્તકો, નોટબુક્સ, સ્કૂલ બેગ, યુનિફોર્મ અને અન્ય સ્ટેશનરી સામગ્રીની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે. આવી સ્થિતિમાં સરકારનો નિર્ણય હજારો પરિવારો માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: ભારતીય રેલ્વેમાં પ્રથમ વખત સર્જાયો ઇતિહાસ : મહિસાગર નદી પર 113 વર્ષ જૂના બ્રિજનું રેકોર્ડ સમયમાં રિ-ગર્ડરિંગ પૂર્ણ

કાગળના ભાવમાં વૈશ્વિક સ્તરે ઉછાળો

છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય બજારમાં પલ્પ અને કાગળના કાચા માલના ભાવમાં વધારો નોંધાયો છે. પુસ્તકોના છાપકામ માટે ઉપયોગમાં લેવાતા કાગળનો મોટો હિસ્સો વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે સંકળાયેલો હોવાથી તેની કિંમતમાં થયેલા ફેરફારની અસર સ્થાનિક બજાર પર પણ પડે છે. બીજી તરફ ઈંધણના વધેલા ભાવના કારણે ઉત્પાદન એકમોથી ગોડાઉન અને ત્યાંથી વિતરણ કેન્દ્રો સુધી પુસ્તકો પહોંચાડવાનો ખર્ચ પણ વધી ગયો છે.

શૈક્ષણિક પ્રકાશન ક્ષેત્ર સાથે સંકળાયેલા વર્તુળોનું માનવું છે કે ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને જોતા પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો થવાની સંભાવના હતી. જોકે રાજ્ય સરકારે આ વધારાનો બોજ વિદ્યાર્થીઓ અને વાલીઓ પર ન નાખવાનો નિર્ણય લીધો છે. પરિણામે સરકારી પાઠ્યપુસ્તકો અગાઉના દરે ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો: મહેસાણામાં જમીન કૌભાંડનો મોટો પર્દાફાશ : કાગળ પર ખેતીની જમીન, હકીકતમાં શાળા-મંદિર અને આખું ગામ વેચી માર્યાનો આરોપ

પુસ્તકોની ઉપલબ્ધતા માટે તડામાર કામગીરી

મનુ પાવરાએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યભરના વિદ્યાર્થીઓને સમયસર પુસ્તકો મળી રહે તે માટે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. પુસ્તકોના છાપકામ, પેકિંગ અને વિતરણની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે તડામાર કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે વર્તમાન પરિસ્થિતિ અને પુરવઠા સંબંધિત પડકારોને ધ્યાનમાં લેતાં કેટલાક વિસ્તારોમાં પુસ્તકો પહોંચવામાં મર્યાદિત વિલંબ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

તેમણે વાલીઓને વિશ્વાસ આપ્યો હતો કે પાઠ્યપુસ્તકોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે બોર્ડ સતત મોનિટરિંગ કરી રહ્યું છે. સાથે સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પાઠ્યપુસ્તકોનું ઓનલાઈન સંસ્કરણ પણ ઉપલબ્ધ રહેશે, જેથી અભ્યાસની શરૂઆતમાં કોઈ મુશ્કેલી ન સર્જાય.

નોટબુક અને સ્ટેશનરીમાં વધ્યો ખર્ચ

જ્યારે રાજ્ય સરકારના પાઠ્યપુસ્તકોના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે, ત્યારે બજારમાં નોટબુક, સ્ટેશનરી અને અન્ય શૈક્ષણિક સામગ્રીના ભાવમાં વધારો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ કાગળના વધેલા ભાવ અને પરિવહન ખર્ચના કારણે નોટબુકના ઉત્પાદકો દ્વારા નવા દર અમલમાં મુકાયા છે. તેના કારણે વાલીઓના કુલ શૈક્ષણિક ખર્ચમાં વધારો જોવા મળી રહ્યો છે.

શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે પાઠ્યપુસ્તકોના ભાવ સ્થિર રાખવાનો નિર્ણય મોંઘવારીના સમયમાં મહત્વપૂર્ણ છે, કારણ કે શૈક્ષણિક ખર્ચ પરિવારના વાર્ષિક બજેટનો મહત્વનો ભાગ હોય છે. ખાસ કરીને એકથી વધુ બાળકો ધરાવતા પરિવારો માટે આ નિર્ણય સીધી આર્થિક રાહત સમાન છે.

આ પણ વાંચો: 'કડક છે કડક છે શું *** કડક છે...!' : ભાષણમાં આ શું બોલી ગયા ભાજપનાં સાંસદ મનસુખ વસાવા? મહુડાનો દારૂ પીવાની પણ આપી દીધી સલાહ

અન્ય બોર્ડના પુસ્તકો મોંઘા બન્યા

બીજી તરફ, સરકારી તેમજ ખાનગી શાળાઓમાં ઉપયોગમાં લેવાતા NCERT અને અન્ય શિક્ષણ બોર્ડના કેટલાક સત્તાવાર પાઠ્યપુસ્તકોની કિંમતોમાં આ વર્ષે અંદાજે 10 ટકા સુધીનો વધારો અમલમાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પરિણામે રાજ્યના પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ભાવ વધારો ન કરવાનો નિર્ણય વધુ મહત્વનો બની જાય છે.

આગામી દિવસોમાં શાળાઓ શરૂ થતાં પુસ્તકોની માંગમાં વધારો થશે. ત્યારે વિતરણ વ્યવસ્થા કેટલી અસરકારક રહે છે અને વિદ્યાર્થીઓને સમયસર પુસ્તકો ઉપલબ્ધ થાય છે કે નહીં, તેના પર પણ સૌની નજર રહેશે. હાલ માટે રાજ્ય સરકારના નિર્ણયથી વાલીઓને મોંઘવારી વચ્ચે થોડી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now