રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર આવેલા શહેરની 90 વર્ષથી પણ વધારે જૂની તેમજ ઐતિહાસિક ઓળખ સમાન લાખાજીરાજ શાકમાર્કેટ વિવાદમાં ઘેરાઈ છે. ઇ.સ. 1934માં રાજવી લાખાજીરાજ દ્વારા બનેલી આ ઈમારત મહાનગરપાલિકાને હટાવવાની યાદ આવી છે! અત્રે જણાવીએ કે, મહાનગરપાલિકા દ્વારા આ માર્કેટને ભયગ્રસ્ત જાહેર કરીને અહીં વર્ષોથી વેપાર કરતા 96 જેટલા દુકાનદારો અને વખાર માલિકોને આ જગ્યા તાત્કાલિક ખાલી કરવા માટેની અંતિમ નોટિસ પાઠવતા રોષે જોવા મળી રહ્યો છએ. જો કે, આ સમગ્ર મામલો નામદાર કોર્ટમાં પહોંચતા કોર્ટે મનપા પાસે જવાબ માંગ્યો છે
ખાલી કરવાની નોટિસ ફટકારતા વેપારીઓમાં રોષ
રાજકોટની ઐતિહાસિક ધરોહર અને જૂની પેઢી માટે એક અમૂલ્ય યાદોની વિરાસતને મહા પાલિકાએ ખાલી કરવાની નોટિસ ફટકારતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આપને જણાવીએ કે, આ મામલે ઇન્ટેક જેવી વારસો જાળવવાનું કામ કરતી સંસ્થાએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો કે, રાજકોટનાં આવા ઐતિહાસિક માળખાનું વિસ્તૃત મૂલ્યાંકન અને યોગ્ય સમારકામ કરવામાં આવે તો તેને ફરીથી પુનર્જીવિત કરી શકાય છે. પરંતુ હવે માર્કટનું ભવિષ્ય અને જોખમાયું છે. કારણ કે, જર્જરિત હાલતને કારણે કોઈ દુર્ઘટના ન બને તે માટે તાત્કાલિક ખાલી કરવાની નોટિસ ફટકારી છે. જો કે, વેપારી મંડળ આ માર્કેટને ખાલી કરવા બદલે તેને રિનોવેશન કરી તેની જાળવણી કરવાની માંગ કરી રહ્યાં છે.
''ચુનો ઉખડ્યો એટલે ફક્ત પ્લાસ્ટરની જરૂર છે''
આ મામલાને લઈ માર્કેટના વેપારીએ કહ્યું કે, આ 1934માં બની હતી અને 52 વર્ષથી તેઓ અહીં વેપાર કરે છે. માર્કેટ જર્જરિત નથી, પરંતુ અમુક જગ્યાએ માત્ર પ્લાસ્ટર કરવાની જરૂર છે. ઉપરના ભાગે પ્લાસ્ટર કરાવવાની જરૂરિયાત છે, કોઈ દીવાલ પડવાની શક્યતા જ નથી. પહેલા ચણતરમાં ચૂનાનો ઉપયોગ થયો છે, કારણ કે તે સમયે સિમેન્ટ ઉપલબ્ધ ન હતો. તે ચુનો ઉખડ્યો છે એટલે હવે માત્ર પ્લાસ્ટરની જરૂર છે. આ માર્કેટ રીનોવેશનને લાયક છે, જેના પગલે ફક્ત પ્લાસ્ટર કરવો જોઈએ જેનાથી રિનોવેશન પણ થઈ જાય અને અમારા ધંધા રોજગાર પણ ચાલુ રહી શકે''
જાણો સમગ્ર કેસ
આ સમગ્ર વિવાદ એટલો વધ્યો છે કે, કોર્ટ સુધી મેટર પહોંચી છે. વિગતો મુજબ બાંધકામ વિભાગ દ્વારા લાખાજીરાજ માર્કેટને જોખમી ગણાવી ખાલી કરાવવા અભિપ્રાય આપતા એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસો આપવામાં આવી હતી. ત્યારબાદ વેપારીઓ દ્વારા કોર્ટનો સ્ટે મેળવવામાં આવ્યો. જેને કારણે નોટિસની મુદ્દત પુરી થઈ હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ શકી નથી. ત્યારે આગામી 21 ઓગષ્ટે મનપા કોર્ટમાં જવાબ રજૂ કરીશે અને ત્યારબાદ અદાલતનાં હુકમ મુજબ કાર્યવાહી થશે






