Rahul Gandhi NEET Press Conference: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ NEET પરીક્ષા, પેપર લીક, શિક્ષણ વ્યવસ્થા અને બેરોજગારીના મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો કે દેશના કરોડો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો હાલની શિક્ષણ વ્યવસ્થાથી સીધા પ્રભાવિત થઈ રહ્યા છે અને સરકાર તેમની સમસ્યાઓ ઉકેલવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. નવી દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર પેપર લીકની ઘટનાઓ સામે આવી છે. તેમ છતાં જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થઈ નથી અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ સતત તૂટી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરતા લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ભ્રષ્ટાચારના કારણે જોખમમાં મુકાઈ રહ્યું છે. રાહુલ ગાંધીએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને સીધા નિશાન બનાવતા કહ્યું કે દેશની સૌથી મહત્વપૂર્ણ પરીક્ષાઓમાં સતત ગેરરીતિઓ સામે આવી રહી હોવા છતાં જવાબદારી સ્વીકારવામાં આવી નથી. તેમણે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેશના વિદ્યાર્થીઓ પાસે જાહેરમાં માફી માંગવી જોઈએ તેવી માંગ કરી.
'સાડા સાત કરોડ વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર પર અસર'
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, NEET અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓથી અંદાજે સાડા સાત કરોડ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો પ્રભાવિત થાય છે. તેમણે કહ્યું કે, છેલ્લા દસ વર્ષમાં અનેક વખત પેપર લીકની ઘટનાઓ બની હોવાના દાવા થયા છે, પરંતુ કોઈ એક કેસમાં પણ જવાબદાર લોકોને અસરકારક સજા મળી નથી. તેમના મતે આ સ્થિતિ દેશની શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
'વિદ્યાર્થીઓ વર્ષો સુધી મહેનત કરે છે'
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, લાખો વિદ્યાર્થીઓ ચારથી પાંચ વર્ષ સુધી દરરોજ 8થી 10 કલાક મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરે છે. પરંતુ પરીક્ષા પહેલાં અથવા પછી પેપર લીક જેવી ઘટનાઓ સામે આવતાં તેમની વર્ષોની મહેનત પર પાણી ફરી વળે છે. તેમણે કહ્યું કે, આવી પરિસ્થિતિમાં સૌથી વધુ નુકસાન મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓને થાય છે, કારણ કે તેઓ પોતાના ભવિષ્ય માટે મોટી આશા સાથે તૈયારી કરતા હોય છે.
NEET પાછળ પરિવારોનો મોટો ખર્ચ હોવાનું દાવો
કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે, દેશભરના પરિવારો દર વર્ષે NEET પરીક્ષાની તૈયારી માટે અંદાજે ₹1.32 લાખ કરોડ જેટલો ખર્ચ કરે છે, જ્યારે કેન્દ્ર સરકારનું વાર્ષિક શિક્ષણ બજેટ આશરે રૂ.1.4 લાખ કરોડ છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, સરકાર એક તરફ શિક્ષણ માટે બજેટ ફાળવે છે, જ્યારે બીજી તરફ પરીક્ષાની તૈયારી માટે પરિવારોને ભારે આર્થિક બોજ સહન કરવો પડે છે.
'યુવાનો માટે રોજગારીના રસ્તા બંધ થઈ રહ્યા છે'
રાહુલ ગાંધીએ રોજગારીના મુદ્દે પણ સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે, યુવાનો માટે રોજગાર મેળવવાના પરંપરાગત માર્ગો સતત સીમિત થઈ રહ્યા છે. તેમના મતે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રોજગારી ઘટી રહી છે, ઉદ્યોગસાહસિકતા માટે પડકારો વધી રહ્યા છે, કોર્પોરેટ ક્ષેત્રમાં નવી ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના કારણે રોજગારીની તકોમાં ઘટાડો થયો છે અને સરકારી નોકરીઓ પણ મર્યાદિત છે. પરિણામે લાખો યુવાનો માટે સરકારી નોકરી જ એકમાત્ર વિકલ્પ બની રહી છે.
શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ ફરી દોહરાવી
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ ફરી એકવાર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી. તેમણે આરોપ લગાવ્યો કે, પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા જાળવવામાં સરકાર નિષ્ફળ રહી છે અને વારંવાર સામે આવતી ગેરરીતિઓ માટે રાજકીય જવાબદારી નક્કી થવી જોઈએ.
વિદ્યાર્થીઓની ત્રણ માંગણીઓનો કર્યો ઉલ્લેખ
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, દેશભરમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની માંગણીઓ યોગ્ય છે અને કોંગ્રેસ તેમના સમર્થનમાં ઉભી છે. તેમણે વિદ્યાર્થીઓની મુખ્ય માંગણીઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે પ્રથમ, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ. બીજી, વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓ સામે થયેલા કથિત દમન માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. અને ત્રીજી, પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદીએ દેશના વિદ્યાર્થીઓની માફી માંગવી જોઈએ.
રાહુલ ગાંધીએ કહ્યુંકે, મારી સાથે જે રીતે આજે ટીંગાટોળી કરવામાં આવી, પોલીસ દ્વારા મારા પર દમન કરવામાં આવ્યું એનાથી મને કોઈ જ વાંધો નથી. મારી સાથે તમે એકવાર નહીં 10 વાર આવું કરશો તો હું તમને કંઈ જ નહીં કહું. મને એનાથી કોઈ ફેર પડતો નથી. મને આની આદત પડી ગઈ છે. ઉલ્ટાનું મને તો હવે આવું કંઈ મારી સાથે જાય તો એનાથી મજા આવે છે. ઉલ્ટાનું હું તો મારી સાથે આવું કોઈ કંઈ પણ ખરાબ વર્તન કરે છે તો હું એમનાથી કંઈક નવું શીખું છું. મારો ફોક્સ માત્રને માત્ર દેશના વિદ્યાર્થીઓ પર છે. મારા મોંઢામાંથી કાલે લોહી નીકળી રહ્યું હતું. તો હું પુરી રીતે વિદ્યાર્થીઓના સમર્થનમાં ઉભો છું. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, દેશના વિદ્યાર્થીઓ જો રસ્તા પર ઉતર્યા છે, તો વિપક્ષે પણ રસ્તા પર ઉતરવું જોઈએ. પીએમ હાઉસ જતા પહેલાં વિપક્ષ લોકસભા અધ્યક્ષ પાસે ગયું. અમે રજૂઆત કરી કે અમને બોલવા દો, આ ખુબ મોટો મુદ્દો છે. પણ સ્પીકરે કહ્યુંકે, હું સરકારને પૂછીશ. પણ પરમીશન આપી નહી. ધર્મેન્દ્ર પ્રધાન એક એવું પ્રતિક છે જેણે કરોડો વિદ્યાર્થીઓને દુઃખ પહોંચાડ્યું છે. તો તેને હટાવવા જોઈએ. આ દરેક વિદ્યાર્થીઓની માંગ છે.
સરકાર તરફથી સત્તાવાર પ્રતિસાદની રાહ
રાહુલ ગાંધીના આ નિવેદનો બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો છે. કોંગ્રેસ સતત NEET અને પેપર લીકના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી રહી છે, જ્યારે સરકાર અગાઉ અનેક પ્રસંગોએ પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક બનાવવા માટે પગલાં લેવાઈ રહ્યા હોવાનું કહી ચૂકી છે. આ મુદ્દે કેન્દ્ર સરકાર અથવા શિક્ષણ મંત્રાલય તરફથી તાજેતરના નિવેદનો સામે આવવાની રાહ જોવામાં આવી રહી છે. આગામી દિવસોમાં સંસદ અને રાજકીય મંચો પર પણ આ મુદ્દે વધુ ચર્ચા થવાની શક્યતા છે.





