Raghav Chadha: અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને રાઘવ ચઢ્ઢાએ મોટો ઝટકો આપ્યો છે. તેમણે પાર્ટી છોડીને ભાજપ (BJP) જોઈન કરી લીધી છે. તેમની સાથે અશોક મિત્તલ અને સંદીપ પાઠકે પણ ભાજપનું સભ્યપદ સ્વીકાર્યું છે. આ ઘટનાક્રમ વચ્ચે અરવિંદ કેજરીવાલ અને રાઘવ ચઢ્ઢાને લઈને મોટો ખુલાસો થયો છે.
આમ આદમી પાર્ટીના 10 સાંસદોમાંથી 7 સાંસદોએ પાર્ટી છોડી દીધી છે. જેમાંથી 6 પંજાબના છે, જેમાં રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, અશોક મિત્તલ, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમ સાહની અને હરભજન સિંહનો સમાવેશ થાય છે. જ્યારે સ્વાતિ માલીવાલ દિલ્હીથી છે. બીજી તરફ સંજય સિંહ, એન.ડી. ગુપ્તા અને બલબીર સિંહ સીચેવાલ હજુ પણ AAP સાથે જોડાયેલા છે.
આ પણ વાંચો: સોનાં-ચાંદીના ભાવમાં ફરી હલચલ : 25 એપ્રિલે કેટલું મોંઘું કે સસ્તુ? જાણો શહેરવાર લેટેસ્ટ ભાવ
અરવિંદ કેજરીવાલે શું કહ્યું હતું?
સૂત્રોના જણાવ્યા અનુસાર, અરવિંદ કેજરીવાલને પહેલાથી જ શંકા હતી કે પાર્ટીમાં લોકો ખુશ નથી. આથી તેમણે સાંસદો સાથે મુલાકાત કરી હતી અને તેમને કહ્યું હતું કે જો તેઓ ખુશ ન હોય તો પદ પરથી રાજીનામું આપી દે. પાર્ટી તેમને ફરીથી ટિકિટ આપીને ચૂંટણી મેદાનમાં ઉતારશે, પરંતુ આ બાબતે આગળ કોઈ વાતચીત થાય તે પહેલા જ સાંસદોએ રાજીનામું આપી દીધું હતું.
ભગવંત માને સાંસદોને 'ગદ્દાર' કહ્યા
આમ આદમી પાર્ટી છોડનારા સાંસદોનું કહેવું છે કે તેમણે પોતાની મરજીથી અને વ્યક્તિગત કારણોસર AAP છોડવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ ભાજપ અધ્યક્ષ નિતિન નબીને AAP સાંસદોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અરવિંદ કેજરીવાલે ભાજપ પર પંજાબની જનતા સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે મુખ્યમંત્રી ભગવંત માને રાજીનામું આપનારા સાંસદોને 'ગદ્દાર' ગણાવ્યા છે..
રાઘવ ચઢ્ઢાના AAP પર આરોપ
રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે, "મેં આમ આદમી પાર્ટીને પોતાના લોહી-પરસેવાથી સીંચી હતી. મારી જિંદગીના સૌથી સુંદર 15 વર્ષ આપ્યા અને મારી યુવાની પાર્ટીના નામે કરી દીધી હતી. પરંતુ હવે એ જ પાર્ટી પોતાના સિદ્ધાંતો, મૂલ્યો અને નૈતિકતાથી ભટકી ગઈ છે." આ કારણોસર તેમણે આજે સવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને રાજ્યસભાના સભાપતિને જરૂરી દસ્તાવેજો પણ સોંપી દીધા છે.
રાજ્યસભાના પદ પરથી હટાવાયા હતા રાઘવ
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં 'ડેપ્યુટી લીડર'ના પદ પરથી હટાવી દીધા હતા. તેમની જગ્યાએ અશોક મિત્તલને ડેપ્યુટી લીડર બનાવવામાં આવ્યા હતા. આ બાબતથી રાઘવ નારાજ ચાલી રહ્યા હતા અને તેમણે પોતાની નારાજગી અનેક રીતે વ્યક્ત પણ કરી હતી. હવે પાર્ટી છોડીને તેમણે અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં વધારો કરી દીધો છે.





